રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને સરકાર ચિંતિત બની છે. ગઈ કાલે રાજકોટ ગ્રામ્યમાં ચા-પાનના ગલ્લા પર લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવ્યા પછી આજે શહેરમાં પણ ચા-પાનની દુકાનો પર લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.


રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૪ની રૂએ શહેરમાં પાન, માવા, ચા (ટી-સ્ટોલ)ની દુકાનો / લારીઓ તથા નાસ્તાની લારીઓએથી ગ્રાહકોએ જે-તે વસ્તુ ખરીદી લઇ જતા રહેવાની (TAKE AWAY) વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે જરૂરી હુકમ કર્યો છે. રાજકોટમાં ઉપરોક્ત વેપારીઓએ ઉપર દર્શાવ્યા મુજબની વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાને કારણે રાજકોટ શહેરમાં પણ લોકો હવે ચા-નાસ્તા કે પાનના ગલ્લા પર એકઠા નહીં થઈ શકે. આ જગ્યાઓ પર માત્ર પાર્સલ સેવા ચાલું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ માટે પાન, માવા, ચા (ટી-સ્ટોલ)ની દુકાનો / લારીઓ તથા નાસ્તાની લારીએ TAKE AWAY પધ્ધતિથી વ્યવસાય કરવા અંગે હુકમ કરાયો છે.