અમરેલીઃ અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના 10 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ખાંભા કોંગી શાસિત એપીએમસીના 2 ડાયરેક્ટરો સહિતના કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા છે. સાવરકુંડલા ખાતે ભાજપ દ્વારા કિસાન સંમેલનમાં 2 યાર્ડના ડાયરેક્ટરો સહિતના કોંગી આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે. કૃષિમંત્રી આર.સી ફળદુએ તમામને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.


સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું હતું. લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સ્પેન્ડ કરતા તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમાં જોડાયા હતા. કાચરડી જિલ્લા પંચાયતના સદસ્યએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. 2 ગામોના સરપંચોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, કૌશિક વેકરીયાએ ભાજપમાં આવકાર્યા હતા.

આ પછી દ્વારકામાં પણ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. ઓખા નગર પાલિકાના બે કોંગ્રેસી સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ઓખાના વોર્ડ નંબર ૭ અને ૮ના બે સભ્યો ભાજપમાં જોડાયા હતા. કિશોરભાઈ અગ્રાવત અને અંજલિબેન માણેક ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રમુખ ખીમભાઈ જોગલના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. ઓખા પાલિકામાં ભાજપનું સંખ્યાબળ ૨૨નું થયું છે, જ્યારે કોંગ્રેસનું સંખ્યાબળ ૧૩ થયું છે.