લોકડાઉનમાં રાહત મળી રહ્યાની વાતો વચ્ચે રાજકોટના જંગલેશ્વર પાસે આવેલી કેટલીક સોસાયટીને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી હટાવવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને નીલકંઠ સોસાયટી, કાવેરી એપાર્ટમેન્ટ સહિતના સ્થળોએથી પતરાં દૂર કરવાનું માર્કિંગ શરૂ થયું હતું તે વખતે જંગલેશ્વરમાંથી મહિલાઓ અને પુરુષોનું ટોળું ખ્વાજા ચોક પાસે આવી પહોંચ્યુ હતું. આગેવાનો અને પોલીસ સ્ટાફ વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલી રહી હતી.
ત્યારે ટોળાં વચ્ચે અને પોલીસ સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યાર બાદ દોડધામ મચી ગઈ હતી. ટોળાંને કાબૂમાં લેવા ત્યાં હાજર પોલીસ સ્ટાફે ટિયર સેલના ગેસ છોડ્યા હતાં. ત્યાર બાદ ટોળાંએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને પોલીસના વાહનોને ટાર્ગેટ કર્યાં હતા. પોલીસની જીપ, એક ક્રેટા કાર અને એસઆરપી જવાનોના બાઈકમાં તોડફોડ કરી હતી.
બેફામ બનેલા ટોળાંને કાબૂમાં લેવું મુશ્કેલ બનતા શહેરભરની પોલીસ સ્થળ પર ઉતારી દેવાઇ હતી અને પોલીસે ટિયર ગેસ છોડતાં જ લોકોનું ટોળું જંગલેશ્વરમાં ઘૂસી ગયું હતું. આ ઘટનામાં પોલીસે અસામાજિક તત્વોની અટકાયત કરી હતી.