રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે, ત્યારે મહાનગરપાલિકામાં જ જાહેરનામાના ધજાગરા ઉડ્યા છે. મનપા ઓફિસમાં સફાઇ કામદારોની ભરતી માટેનું ફોર્મ ભરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.


રાજકોટ મનપમાં સફાઈ કામદારોની ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. 500થી વધુ લોકો એક સાથે ઊમટતા સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતા. માસ્ક પહેર્યા વગર લોકો ઉમટ્યા હતા. રોજના શહેરીજનો પાસે 1 લાખ રૂપિયાનો દંડ ઉઘરાવતી મહાપાલિકા પોતાના જ સેન્ટર પર લાચાર જોવા મળી હતી.

કોર્પોરેશન દ્વારા 452 સફાઈ કામદારો માટેની ભરતી પ્રક્રિયા આજથી શરુ કરાઈ છે. મનપા અધિકારીઓની બેદરકારી કારણે સંક્રમણ ફેલાઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ મનપા વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયા પણ ઉમેદવારો પાસે પહોંચ્યા હતા.