PGVCL Raid News: ઠેર ઠેર ઇલેક્ટ્રિસિટીની ચોરીને ડામવા માટે ગુજરાતમાં તમામ ઝૉનની ટીમો કામે લાગી છે, અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમો ધમધોખાર દરોડાની કાર્યવાહી કરી રહી છે, પીજીવીસીએલની ટીમે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 18 લાખથી વધુની વીજ ચોરી પકડી પાડી છે. આ માટે અત્યારે 32 અલગ અલગ ટીમો કામે લાગી હતી.




મળતી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ અને કચ્છ સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમે જોરાદર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, આ અંતર્ગત 32 ટીમો કાર્યરત છે અને તાજા આંકડા પ્રમાણે, આ ટીમોએ અલગ અલગ સ્થળેથી કુલ 18 લાખથી વધુની વીજ ચોરી પકડી પાડી છે. પીજીવીસીએલની ટીમે છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ ચાર સબ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવામાં કામગીરી કરી હતી. જેમાં આજી.1, કોઠારિયા રૉડ, મોરબી રૉડ, મિલપરા સબસ્ટેશન વિસ્તારમાં વીજ ચોરી રોકવા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આમાં 776 કનેક્શન ચેક કરીને 66 મીટરમાં વીજ ચોરીના કેસ કર્યા હતા, અને 18.87 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલની ટીમે છેલ્લા એક સપ્તાહમાં 50 લાખથી વધુની વીજ ચોરી પકડી છે.


આ પહેલા દિવસે વીજળીને લઈને સિહોર તાલુકામાં 10 ગામના ખેડૂતોએ કર્યો હતો PGVCLની પેટા કચેરીનો ઘેરાવ


ભાવનગરના સિહોર તાલુકામાં PGVCLની અવળ ચંડાઈના કારણે શિયાળાની કડકડતી ઠંડીમાં વન્ય પ્રાણીઓની વચ્ચે રાત્રિના સમયે ખેતરોમાં પાણી વાળવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.  જેના વિરોધમાં આસપાસના 10 ગામના ખેડૂતો દ્વારા PGVCLની પેટા કચેરીનો ઘેરાવ કરીને દિવસે વીજળી આપવા માટેની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોનો આરોપ છે કે PGVCLનાં અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી જેના કારણે ખેડૂત વધારે પરેશાન થાય છે. 


સિહોર તાલુકાની સબ ડિવિઝન કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કર્યો


ખેડૂતે જણાવ્યા અનુસાર,  ભાવનગર જિલ્લામાં આજથી ત્રણ વર્ષ પહેલા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 115 ગામોનો સમાવેશ કરીને દિવસે વીજળી આપવાની વાત રાજ્ય સરકારે કરી હતી પરંતુ તેનો પ્રથમ તબક્કો પણ પૂરો થયો નથી તેવામાં ભાવનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં રાત્રે વીજળી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે.  જેના વિરોધમા સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે અને ખેડૂતો દ્વારા PGVCL સામે વિરોધનો મોરચો માંડ્યો.  મોડી રાત્રિના સમયે સિહોર તાલુકાની સબ ડિવિઝન કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કરી દિવસે વીજળી આપવાની માંગ કરી હતી. 


ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓની ભારે રંઝાડ છે


સિહોર તાલુકાના ટાણા, વાવડી, રાજપરા, ગુંદાળા, ધૂળસર સહિતના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓની ભારે રંઝાડ છે.  અવારનવાર દીપડાનાં માનવ ઉપર હુમલા પણ બહાર આવતા હોય છે તેવી પરિસ્થિતિમાં જીવના જોખમે પણ ખેડૂતો પોતાની વાડીએ પાણી વાળવા માટે મજબૂર બની રહ્યા છે.  જોકે વારંવાર PGVCL અને ઝેટકો કચેરીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી જેના કારણે ખેડૂતોનો હવે આક્રોશ વધી રહ્યો છે.  ખેડૂતો દ્વારા  PGVCLની કચેરીનો ઘેરાવ કરીને પોતાની માંગ મૂકીને દિવસે વીજળી આપવા માટે રજૂઆત કરી છે.  જો આવનારા દિવસોમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો વધુ ઉગ્ર વિરોધ કરશે તેવી ચિમકી આપી છે. 


સિહોરની આસપાસના 10 ગામના લોકો દ્વારા પીજીવીસીએલની કચેરીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તેમની માંગ સંતોષવામાં નહી આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.