રાજકોટ: આજ કાલ ડિગ્રી વગરના ડોક્ટરો ઝડવાની ઘટના ખુબ સામે આવી રહી છે. પરંતુ રાજકોટમાં જે ઘટના સામે આવી છે તેના પર તમને વિશ્વાસ નહીં આવે. રાજકોટમાં એક તાળાની ચાવી બનાવનાર વ્યક્તિ ડોક્ટર બની ગયો છે. પદ્મકુવરબા હોસ્પિટલ પાસે તાળાની ચાવી બનાવનાર ડેન્ટિસ્ટનું કામ કરવા લાગ્યો હતો. શામજી ભાઈ નામના વ્યક્તિએ આ અંગે ફરિયાદ નોંધવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. જગ્ગન નામના વ્યક્તિએ શામજી ભાઈના મોઢામાં ચોખઠું ફીટ કરી આપ્યું હતું. હવે શામજી ભાઈએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જગ્ગનની ધરપકડ કરવામાં આવી છે. 21 વર્ષીય તાળા ચાવી બનાવનાર ડેન્ટિસ્ટ બની જતા ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.


 વલસાડમાં માથા વગરની બાળકની લાશ મળી આવતા ચકચાર


વાપીમાં આવેલ દમણ ગંગા કેનાલમાંથી નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.  કરવડ ગામમાંથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી બાળકનું માત્ર ધડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા કેનાલમાં ધડ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  પગ અને માથાનો ભાગ શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. દાદરા નગર હવેલી અને વલસાડ પોલીસે સંયુક્ત રીતે તપા, હાથ ધરી છે. ધડ મળવાની ઘટનામાં એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે. બાળક ઓળખ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. 


વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર


વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે.  કુખ્યાત ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી  મિત્રતા કેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ 7 કેસ અને ફિરોઝ સામે 1 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી.


ખેડામાં નહેરમાંથી મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા


લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું. કઠલાલના અપ્રુજી પાસે નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આશાબેન ઝાલા ઉંમર વર્ષ 28 અને બાળક મયંક ઉંમર વર્ષ 3નો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,  જે પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું હતું તે પરિવારના મોભીને બચાવી લેવામાં આવ્યા હતા.


અરવલ્લીમાં રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર


શામળાજીના દહેગામડા જગાપુર પાસેના રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલ મૃતદેહ મળી આવ્યો છે. રેલવે ટ્રેક પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતનું કારણ અને પરિજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.