રાજકોટ : રાજકોટના આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 5 દર્દીઓના મોતના બનાવમાં તપાસને અંતે ગુનો નોંધી પોલીસે ત્રણ તબીબોની ધરપકડ કરી છે. તબીબોના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેય તબીબોની આજે સાંજે ધરપકડ કરવામાં આવી છે.


ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટાના કોરોના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે રવિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મનોહર સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા કર્યા હતા. તેમણે જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાની માહિતી આપી હતી. SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તમામ જવાબદાર વિરુદ્ધ 304(અ) અંતર્ગત આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ગત ગુરૂવારે રાત્રે આગ લાગવાથી કોરોનાના પાંચ દર્દીનાં મોત નીપજ્યા હતા. આ પ્રકરણમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના PIએ ફરિયાદી બની ગોકુલ લાઈફ કેર પ્રા.લિ.ના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે આઇપીસી 304-અ તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો.