પોરબંદરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે હવે કોરોના સૌરાષ્ટ્રમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતાનું કોરોનાથી મોત થયું છે.


મળતી વિગતો પ્રમાણે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ મહિલા અગ્રણી રાણીબેન કેશવાલાનું નિધન થયું છે. છેલ્લા બે માસથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. કેન્સરની સાથે કોરોના થયો હતો. ભાજપ મહિલા અગ્રણીના નિધનથી શોકની લાગણી ફરી વળી છે.

ગઈ કાલે રાજ્યમાં 1442 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3396 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16505 એક્ટિવ કેસ છે, જ્યારે 110490 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 130391 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1, સુરતમાં 1 સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 12 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 184, અમદાવાદ કોર્પોરેશનમાં 160, સુરતમાં 116, રાજકોટ કોર્પોરેશનમાં 111, જામનગર કોર્પોરેશનમાં 102, વડોદરા કોર્પોરેશનમાં 94, મહેસાણામાં 48, બનાસકાંઠામાં 41, વડોદરામા 40, રાજકોટમા 37, અમરેલી 34, પાટણ 34, કચ્છ 30, ભાવનગર કોર્પોરેશનમાં 29, સુરેન્દ્રનગરમાં 28, પંચમહાલ 27, ભરૂચ 26, મોરબી 25 અને ગાંધીનગરમાં 24 કેસ નોંધાયા હતા.