રાજકોટઃ અમદાવાદ અને સુરત પછી હવે કોરોનાનું એપી સેન્ટર રાજકોટ તરફ મૂવ કરી રહ્યું છે. રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેંડ શરૂ થતાં ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાંચ દિવસ સુધી રાજકોટમાં ધામા નાંખ્યા છે. આ ઉપરાંત અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવવામાં આવી છે. આ સિવાય એડિશન ડાયરેક્ટર (મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ડો. દિક્ષિત, ડો. સંજય કાપડિયા, ડો. વૈદ્ય સહિત આખી ટીમ રાજકોટ આવી રહી છે અને પાંચ-છ દિવસ રોકાશે.


રાઈઝિંગ ટ્રેંડ શું છે?

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મહામારીની તાસીર છે કે, દરેક જગ્યાએ પહેલા કોરોનાના કેસો વધે છે. પછી કેસો કંટ્રોલમાં આવે છે અને પછી કેસો ધીમે ધીમે ઘટે છે. રાજકોટમાં પણ ફાઇનલી કોરોનાનું રાઇઝિંગ ટ્રેંડના ગ્રાફને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે અને અમારા એડિશન ડાયરેક્ટર (મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ડો. દિક્ષિત, ડો. સંજય કાપડિયા, ડો. વૈદ્ય સહિત આખી ટીમ રાજકોટ આવી રહી છે અને પાંચ-છ દિવસ રોકાશે.

રાજકોટમાં 3000 બેડની ક્ષમતા સામે 771 જ દર્દી દાખલ છતાં નવી કોવિડ હોસ્પિટલ ઊભી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. જે અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેંડ શરૂ થયો છે. જેને કારણે કેસો વધી રહ્યા છે.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ 21 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 19 અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ, સૌરાષ્ટ્રમાં 4474 એક્ટિવ કેસો છે. જ્યારે 12,784 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કુલ 261 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં સૌથી વધુ 2029 એક્ટિવ કેસો છે. આ પછી ભાવનગરમાં 465, જામનગરમાં 430, અમરેલીમાં 392, સુરેન્દ્રનગરમાં 284, જૂનાગઢમાં 251, મોરબીમાં 199, દેવભૂમિ દ્વારકામાં 132, બોટાદમાં 111 અને પોરબંદરમાં 31 એક્ટિવ કેસો છે.