રાજકોટ: 11 વર્ષ પહેલાં રાજકોટ કલેક્ટર કચેરીમાં થયેલી તોડફોડ મામલે આજે કોર્ટે ચૂકાદો આપ્યો છે. અગીયારેક વર્ષ પહેલાં જસદણના તે વખતના કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની થયેલ ધરપકડના વિરોધમાં કલેકટર ઓફીસમાં હલ્લો બોલાવીને પબ્લીક પ્રોપર્ટીને નુકસાન કરવા તેમજ ગેરકાયદે મંડળી રચી ગુનો કરવા અંગે પકડાયેલ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મહેશ રાજપૂત , મહમદ પીરજાદા , અશોક ભાઈ ડાંગર, ગોવિંદ રાણપરિયા, દેવજી ભાઈ ફતેપરા, જશવંત સિંહ ભટ્ટી , વિઠ્ઠલ ભાઈ રાદડિયા , ભીખુ ભાઈ વાડોદરિયા , ગોરધન ભાઈ ધામેલિયા , પોપટ ભાઈ જીંઝરીયાને દોષિત ઠેરવી સજા ફટકારી છે. સમગ્ર મામલે મુખ્ય 12 આરોપીઓને દોષિત ઠેરવતા નામદાર કોર્ટે એક-એક વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.




11 વર્ષ પહેલાં રાજકોટ કલેક્ટર કચેરીમાં થયેલી તોડફોડ મામલે આજે કોર્ટ દ્વારા 160 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.

આ કેસ ચાલુ હતો તે દરમિયાન તે વખતના પુર્વ સાંસદ પોપટભાઇ સવસીભાઇ જીંજરીયા અને વિઠ્ઠલભાઈ હંસરાજભાઇ રાદડીયાનું અવસાન થયેલ હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં જસદણના તે સમયના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની જમીન કૌભાંડના મામલે CID ક્રાઇમે ધરપકડ કરી હતી. જેના વિરોધમાં કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસના કાર્યકરોનું ટોળું વિફરતાં કલેકટર કચેરી ખાતે પત્થરમારો કરીને પબ્લીક પ્રોપર્ટીને નુકશાન પહોંચાડ્યું હતું.