રાજકોટ: 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. તમામ મનપામાં ભાજપનો વિજય થયો છે.રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે 72 બેઠકોમાંથી 68 પર જીત મેળવી છે. કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ શહેર ભાજપના સંગઠનના માળખામાં ફેરફાર થશે.


ચૂંટણી જીતેલા હોદ્દેદારોની જગ્યાએ નવા વ્યક્તિઓને તક આપવામાં આવશે. એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ અંતર્ગત ફેરફાર કરવામાં આવશે. રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, ઉપ પ્રમુખ પ્રદીપ ડવ, સુરેન્દ્રસિંહ વાળા, દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડિયા સહિતના હોદ્દેદારોના રાજીનામાં લઈ નવા વ્યક્તિઓને સ્થાન આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં પણ કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. રાજકોટમાં ભાજપના ડો. અલ્પેશ મોરજિયા અને પ્રદીપ ડવનું નામ મેયરપદ માટે ચાલી રહ્યું છે.