સુરતઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ, ભાવનગર અને સુરત કોર્પોરેશનની ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ વિરોધના સૂર છેડાયા છે. સુરત પછી રાજકોટમાં પણ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. 3 વોર્ડનું કોકડું ગુંચવાયું છે ત્યાં વોર્ડ નંબર-1માં ઉમેદવારને લઈ ગરમાવો છે. હરસાબા જાડેજાની ટિકિટ કપાતા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. અહીં તેમણે શહેર પ્રમુખ સાથે બંધ બારણે બેઠક કરી હતી.


સુરતના પૂણા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડ નં 17માં કોંગ્રેસના જ જયેશ ગજેરા સહિતના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ કોર્પોરેટર ધીરુ લાઠીયાને રિપીટ કરાતા કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. ધીરુ લાઠીયા નહીં ચાલેના નારા લગાવ્યા હતા. આમ, કોંગ્રેસમાં ઉમેદવારોની જાહેરાત સાથે જ વિરોધ થતાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. પૂર્વ કોર્પોરેટર સામે કાર્યકર્તાઓએ અનેક આક્ષેપો લગાવ્યા હતા.