રાજકોટઃ આવતી કાલે 6 મહાનગર પાલિકાનું પરિણામ જાહેર થવાનું છે. જોકે, રાજકોટ મનપાની ચૂંટણીના મતદાન બાદ બુકી બજાર ગરમ છે. બુકી બજાર પર ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓની નજર છે. અમુક વોર્ડમાં પેનલો તૂટવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મોટા ગજાના નેતાઓ કે જેમની ટીકીટ કપાઈ તે વોર્ડમાં વધુ મતદાન થયું છે. પાટીદાર વિસ્તાર વોર્ડ 4,5,6 અને 17 અને 18 પણ વધુ મતદાન થયું છે.


પાટીદારો આ ચૂંટણીમાં કોને ફાયદો કરાવશે તેના પર સૌ કોઈની નજર છે. ગત ચૂંટણીમાં પાટીદાર વોર્ડમાં ભાજપને નુકશાન થયું હતું. અપેક્ષા કરતા ઓછા મતદાનથી ભાજપની સીટ કપાઇ હતી. બુકી બજારમાં ભાજપને 43 , કોંગ્રેસને 22 અને આપને 7 બેઠક મળવાનું અનુમાન છે. ચૂંટણી મતદાન પૂર્વે બુકી બજારમાં ભાજપને 50 સીટ , કોંગ્રેસને 17 અને આપને 5 બેઠક મળવાનું અનુમાન હતું.