Rajkot News: રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લામાં પતિના હાથે પત્ની હત્યા થઈ હતી. ગૃહકંકાસથી કંટાળીને પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. પતિએ બોથડ પદાર્થ માથામાં મારી મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ પતિએ પુત્રને ફોન કરીને કહ્યું, તારી માને મારી નાંખી છે. બેભાન હાલતમાં પુત્રએ માતાને હોસ્પિટલે ખસેડી હત, જયાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.


શું છે મામલો

શાપરની સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં રહેતી કમળાબેન (ઉ.વ. 55)ની તેના જ પતિ પ્રેમજી ગોવિંદ પરમારે ગૃહકલેશને કારણે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો.  


પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભદ્રેશી ગામના કમળાબેન છેલ્લા 6 વર્ષથી પરિવાર સાથે શાપર રહેતાં હતા. તેનો પતિ કારખાનામાં નોકરી કરે છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. જેમાંથી મોટો પુત્ર બાબુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. બાકીના બંને પુત્રો મજુરી કરે છે. કમળાબેન અને તેના પતિ પ્રેમજી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જેને કારણે આજે બંને વચ્ચે ફરીથી ઝઘડો થતાં  ઉશ્કેરાઈ જઈ પ્રેમજીએ રોડના ઘા ઝીંકી પત્ની કમળાબેનની હત્યા કરી નાખી હતી.


આ કૃત્ય બાદ પ્રેમજીએ તેના મોટા પુત્ર બાબુને કોલ કરી કહ્યું કે મે તારી માને મારી નાખી છે, જે થાય તે કરી લેજે. આ પછી કોલ કટ કરી નાખ્યો હતો. આ વાત સાંભળી ચોંકી ગયેલા બાબુએ તત્કાળ તેના બે નાના ભાઈઓને જાણ કરતાં તેઓ ઘરે દોડી ગયા હતા. તે વખતે મકાનને તાળુ હતું.


તાળુ તોડીને જોતાં તેમની માતા કમળાબેન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. જેથી તત્કાળ તેને રાજકોટની સિવીલમાં લઈ આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં જ શાપર પોલીસ સ્થળ પર અને સિવીલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરવાની સાથે આરોપી પ્રેમજીની પણ શોધખોળ શરૂ કરી હતી. તેણે પુત્રને કોલ કર્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો.


આજથી 5 દિવસ સાચવજો, લાગી રહ્યું છે આ ખતરનાક પંચક