રાજકોટઃ નાની ઉંમરે અચાનક હાર્ટ અટેકથી મોતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં બેભાન થયા બાદ યુવતી સહિત પાંચ જણાના મોત થયા હતા.  માર્કેટીંગ યાર્ડ પાસે ભગીરથ સોસાયટીમાં ધારાબેન સિદ્ધરાજસિંહ સોલંકી પોતાના ઘરે બેભાન થયો હતો. બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ.


અન્ય એક ઘટનામાં મેટોડા GIDCમાં વિજય મુલુખા સાંકેત નામનો યુવક કારખાનામાં રસોઈ બનાવતી વખતે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. બાદમા તેનું મોત થયું હતું. જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો.  તે સિવાય 34 વર્ષીય રાશીદ ખાન  પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબે મૃત જાહેર કર્યો હતો જેને લઈ પરિવારમાં શોકનો માહોલ છે. કોઠારીયામાં રાજેશભાઈ ભૂત પોતાની વાડીએ કામ કરતા હતા. ત્યારે હાર્ટ અટેક  આવતા બેભાન થઈ ઢળી પડ્યો હતો. જ્યારે જેતપુરમાં એક યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. વેલકમ ચાઈનીઝમાં કામ કરતો 39 વર્ષીય કેસર દિલ બહાદુરને ઘરે અચાનક હાર્ટ અટેક આવ્યો હતો.  જે બાદ સારવારમાં ખસેડાયો હતો. જોકે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ભગીરથ સોસાયટી-8માં રહેતી 21 વર્ષીય ધારાબેન સિદ્ધરાજસિંહ સોલંકી ગઈકાલે બપોરના ત્રણ વાગ્યે પોતાના ઘરે હતી ત્યારે ઘરના ફળિયામાં ચાલતા ચાલતા પડી જતા બેભાન થઈ ગઈ હતી. પરીવારના સભ્યોએ તાત્કાલિક સારવારમાં ખસેડી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. યુવતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. અન્ય એક ઘટનામાં કોઠારીયા ગામમાં રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ભુત (ઉ.45) ખોરાણા ગામે આવેલ પોતાની વાડીએ હતા ત્યારે હાર્ટ અટેક આવતા બેભાન થઈ ઢળી પડયા હતા. જેમને સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક ખેતીકામ કરતા અને સંતાનમાં એક પુત્ર બે પુત્રી છે. અન્ય એક ઘટનામાં જીવરાજ પાર્કમાં આવેલી અંબુકા ટાઉનશીપમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા લલીતભાઈ પરીહાર (ઉ.35) નામનો  યુવક ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડયો હતો.