મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને મોટી ભેટ આપી હતી. રાજકોટમાં 185 કરોડ રૂપિયાના ખર્ચે ચાર નવા ફ્લાયઓવર બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે ૧૮૫ કરોડ રૂપિયા સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ ૨૪૭.૯૨ કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો હતો. ૪ નવા ફ્લાય ઓવરનું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નિર્માણ કરાશે.


તે સિવાય ભાવનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે ૪૫.૬૯ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. શિહોરમાં ટાઉનહોલ નિર્માણ માટે ૮.૩૧ કરોડ અને ગોંડલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા ૬.૯૨ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે. માળિયા-મિયાણા નગરપાલિકા દ્વારા બે કરોડના ખર્ચે સી.સી રોડ નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.


મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ ઘટક અંતર્ગત મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 185.79 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-૨ નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઇ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.


મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના ફ્લાય ઓવરના કામો સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે રકમ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગની રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાંથી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના નવ ગામો પૈકીની સૂચિત નગર યોજના ૩૧ અને વરતેજ ગામતળના વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના માટે તેમણે ૪૫.૬૯ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.


ભૂપેન્દ્ર પટેલે શિહોર નગરપાલિકામાં ટાઉનહોલ બનાવવાના હેતુસર ૮ કરોડ ૩૧ લાખ ૫૦ હજારના કામોની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે ગોંડલ નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ માટે ૬ કરોડ ૯૨ લાખ ૮૪ હજારના કામો મંજૂર કર્યા છે.


વર્ષ ૨૦૦૯-૧૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં  ૫૫ હજાર કરોડની બજેટ જોગવાઈઓ આ યોજના અન્વયે કરવામાં આવી છે. આ બજેટ ફાળવણી અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના, આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો, મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા, રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજ નિર્માણ સહિતના જન સુખાકારીના કામો રાજ્યના નગરો-મહાનગરોમાં હાથ ધરવામાં આવે છે.