રાજકોટ: રાજકોટ ખાતે યોજાનારા મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. આ ઉપરાંત 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્ત ની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળા માં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ ની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પુરવામાં આવશે.


મલ્હાર લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે, તેમજ મેળાના સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. રાજકોટ શહેર ને 4જી એલ.ટી.ઇ. ની જે મંજૂરી મળેલી છે તેનું પ્રથમ વાર ટેસ્ટિંગ મલ્હાર મેળામા વિદેશી કંપની દ્વારા કરવામાં આવશે.

લોકમેળામાં બાળકો તેમના પરિવાર થી છૂટા પડી જતા હોય છે જેના નિવારણ રૂપે પ્રવેશ દ્વાર ખાતે જ બાળક ના નામ, સરનામાં સહિત ની વિગત આવરી લેતું આઈ કાર્ડ બાળકને પહેરવામાં આવશે. ઉપરાંત પિક પોકેટર્સ તેમજ મહિલાઓ ની સુરક્ષા માટે રાજકોટ પોલીસ દ્વારા અલગ ટીમ ની રચના કરાઈ છે. મેળાની ફરતે ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા ન ઉદભવે તે માટે શહેર પોલીસ તેમજ મનપા દ્વારા 10 ફ્રી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાય છે.

રેસકોર્સ રિંગ રોડ ફરતે નો પાર્કિંગ જાહેર કરાયુ છે. ઉપરાંત લોકમેળાની બહારના રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન નાતે 23 અધિકારી તથા 899 કર્મચારી એમ કુલ 922 માણસોનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે.