Rajkot news :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટ માટે આજે ખાસ દિવસ છે. બરાબર 22 વર્ષ પહેલા તા.24-2-2002ના તેઓ સંગઠનમાંથી રાજકારણમાં આવીને જિંદગીની સૌ પ્રથમ ચૂંટણી રાજકોટ-2 (જે આજે રાજકોટ પશ્ચિમ છે) મતક્ષેત્રમાંથી લડયા હતા અને બાદ તેમની અને ભાજપની પ્રગતિ કદિ અટકી નથી. મોદીના સક્રિય રાજકારણને 22 વર્ષ પૂરા થયા છે ત્યારે આજે તેઓ ફરી એક વાર રાજકોટમાં આવશે અને રેકોર્ડ રૂ।.૪૮,૦૦૦ કરોડના વિકાસકામોની ભેટ પ્રજાને આપશે.


રાજકોટનું મારા હૃદયમાં એક ખાસ સ્થાનઃ પીએમ મોદી

તેઓ 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ એટલે કે 10 વર્ષથી વડાપ્રધાનના સર્વોચ્ચ પદે છે, વિશ્વભરમાં તેમનું નામ ગુંજતું થયું છે પરંતુ, તે રાજકોટનું ઋણ ભૂલ્યા નથી. તેમણે ગઈકાલે ટ્વિટર પર બપોરે લખ્યું, રાજકોટનું મારા હૃદયમાં એક ખાસ સ્થાન રહ્યું છે અને હંમેશા રહેશે. આ શહેરની જનતાએ મારામાં વિશ્વાસ મુક્યો હતો અને મારી ચૂંટણીમાં સૌ પ્રથમ વિજય અપાવ્યો હતો.
 
એ વખતે રાજકોટ-2 બેઠક ઉપર દોઢ લાખ મતદારો હતા જેમાં 52.5 ટકા મતદાન થયું હતું. સમગ્ર દેશની નજર આ ચૂંટણી પર હતી. મોદીએ પ્રચાર દરમિયાન કહ્યું હતું- આ ચૂંટણી મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે, જો વિજય મળશે તો આગળ જશું નહીં તો પાછા..અને તા. 24 ફેબ્રુઆરી 2002એ તેઆ 52.5 ટકા મતદાનમાં 57.22 ટકા મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવારને 15,000ની લીડથી પરાજ્ય આપ્યો હતો. મોદીને 45,298 મત મળ્યા તેણે મોદીનું,ભાજપનું અને દેશને દિશા આપી.કોંગ્રેસના પરાજીત અશ્વીન મહેતાને 30,570 (38.68 ટકા) મત મળ્યા હતા.આ ચૂંટણી પછી તેમની કલ્પનાતીત સફળતાના પગલે આજે પણ દેશભરમાં રાજકોટની ફેબ્રૂઆરી- 2002ની પેટાચૂંટણી ચર્ચાતી રહી છે. રાજકોટવાસીઓ મોદીને નથી ભુલ્યા અને મોદી રાજકોટને નથી ભૂલ્યા. આજે પણ તેઓ અહીંના ઘણા લોકોને નામથી સંબોધન કરે છે. એ વખતે તેઓ પ્રવચનમાં પાંચ કરોડ ગુજરાતી કહેતા અને આજે ગુજરાતીની સંખ્યા વધીને સાત કરોડ થઈ છે. રાજકોટ એ શહેર છે કે 60 વર્ષ પહેલા ભાજપ એટલે કે જનસંઘને ગુજરાત વિધાનસભામાં એક બેઠકથી પ્રવેશ અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સંઘ અને સંગઠનમાં રહીને ભાજપને જીતાડી શકે તેવી રાજનીતિના ઘડવૈયા રહ્યા છે.

બાવીસ વર્ષ પહેલા આદિવસે ભાજપ મોદીનો સક્રિય રાજકારણમાં પ્રવેશ અને પ્રથમ વિજય ઉજવતા હતા અને આજે દેશના ગરિમાપૂર્ણ વડાપ્રધાનના આગમનને વધાવવા ઉત્સવ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન જ્યાંથી જિંદગીની પ્રથમ ચૂંટણી જીત્યા તે જ મતવિસ્તારમાં આવતા રેસકોર્સમાં તેમની જગી સભા અને ભવ્યાતિભવ્ય રોડ શો આજે બપોર પછી યોજાશે અને વડાપ્રધાન રાજકોટમાં જ રાત્રિરોકાણ પણ કરશે.