Rajkot News: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે અનેક શહેરો અને જિલ્લાઓમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, અને હવે અહીં રોગચાળાએ માજા મુકી છે. શહેરમાં તાવ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મેલેરિયાની કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. 


મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદના કારણે રાજકોટ અને તેની આજુબાજુના ગામોમાં ફરી એકવાર રોગાચાળાએ માથુ ઉંચક્યુ છે. તાજા આંકડા પ્રમાણે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી શરદી ઉઘરસ અને તાવના કેસોમાં ઝડપથી વધારો નોંધાયો છે. અત્યારે રાજકોટમાં સામાન્ય બિમારીના 800થી વધુ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. શહેરના વાતાવરણમાં પલટો આવતા રોગચાળો વકર્યો છે, આમાં ડેન્ગ્યૂના 10, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા અને હજુ પણ આ આંકડામાં વધારો થવાની સંભાવના છે. છેલ્લા એક સપ્તાહમાં શરદી ઉધરસના 582 કેસ, સામાન્ય તાવના 52 કેસ, ઝાડા ઉલ્ટીના 227 કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા અત્યારે શહેરમાં ઘરે-ઘરે દવાનો છંટકવ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલુ જ નહીં મચ્છરોની ઉત્પતિને પગલે 113 લોકોને નૉટિસ પણ ફટકારવામાં આવી છે. 


ડેન્ગ્યુ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ? તેનો ટાઈપ-2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે, આ રીતે કરો બચાવ 


ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે 20 ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક DENV-2 સ્ટ્રેન 19 કેસમાં જોવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે 20 માંથી 19 સેમ્પલ ટાઇપ 2 ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.


ડેન્ગ્યુ ટાઇપ-2 સ્ટ્રેન શું છે ?


ડેન્ગ્યુ ટાઈપ-2 એક ખતરનાક સ્ટ્રેન છે. આ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક સ્ટ્રેન છે. ડેન્ગ્યુ વાયરસમાં DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 સ્ટ્રેન છે, જેમાં DENV-2 સ્ટ્રેન સૌથી ખતરનાક છે. દિલ્હીમાં ડેન્ગ્યુના 90 ટકાથી વધુ કેસ DENV-2 સ્ટ્રેનના છે. જેના કારણે દર્દીનો જીવ પણ જઈ શકે છે. આ જ કારણ છે કે દિલ્હી સરકારે તમામ સરકારી એજન્સીઓ સહિત સામાન્ય લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.


DENV-2 ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઇપ જેવા જ છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના 3-7 દિવસ પછી લક્ષણો શરૂ થાય છે.









જોરદાર તાવ
ગંભીર માથાનો દુખાવો
સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો
ઉબકા આવવા
ઉલટી થવી
ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ
ગંભીર નબળાઇ આવવી
આંખોની પાછળના ભાગમાં દુખાવો


ડેન્ગ્યુથી બચવાના ઉપાયો


ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. જો કૂલરમાં, વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને ખાલી કરી દો.
પાણીની ટાંકી ઢાંકીને રાખો.
બારીઓ અને દરવાજા પર જાળી લગાવો જેથી મચ્છર બહારથી પ્રવેશી ન શકે.
મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ મચ્છર મારવની દવાનો છંટકાવ કરો.
મચ્છરોથી બચવા માટે મચ્છરદાની સાથે સૂવાનું રાખો.
મચ્છરોથી બચવા માટે આખુ શરીર ઢંકાય તે પ્રકારના કપડાં પહેરો.
તાવ, દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
ડૉક્ટરની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે


ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ કારણ કે ગંભીર લક્ષણો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome)  થઈ શકે છે.  જે કારણે  ડેન્ગ્યુ હેમરેજિક તાવ  થઈ શકે છે અને  રક્ત વાહિનીઓને નુકસાન, લીવરને નુકસાન ભારે રક્તસ્રાવ અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.