Parasottam Piplia detained Rajkot: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી બાબા બાગેશ્વર (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી) ની કથા અને દિવ્ય દરબારમાં મોટો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. બાબાના દરબારમાં જઈને તેમને ખુલ્લા પડકારવા અને પ્રશ્નો પૂછવા નીકળેલા જાણીતા પાટીદાર અને સહકારી આગેવાન પરસોત્તમભાઈ પીપળીયાની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમણે દિવ્ય દરબારમાં જવા માટે પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસે તેમને બાબા સુધી પહોંચવા જ ન દીધા અને રસ્તામાંથી જ તેમની અટકાયત કરીને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

Continues below advertisement

પોલીસની સમજાવટ અને પીપળીયાની મક્કમતા

પોલીસે અટકાયત પહેલા પરસોત્તમભાઈને સમજાવતા કહ્યું હતું કે, જો તેઓ ઘરે રહેશે તો તેમની અટકાયત નહીં કરવામાં આવે. પરંતુ પરસોત્તમભાઈ પોતાની વાત પર મક્કમ હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું તો બાબાના દરબારમાં જવાનો જ છું, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મારી નથી, તે પોલીસનું કામ છે." પીપળીયાએ પીછેહઠ ન કરતા આખરે પોલીસે શાંતિ ડહોળાય નહીં તે હેતુથી તેમને કસ્ટડીમાં લીધા હતા.

Continues below advertisement

અંધશ્રદ્ધા સામે છે વિરોધ: પરસોત્તમ પીપળીયા

એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં પરસોત્તમભાઈએ સ્પષ્ટતા કરી હતી કે, તેમને સનાતન ધર્મ કે હનુમાન કથા સામે કોઈ જ વાંધો નથી. તેમનો મુખ્ય વિરોધ ભૂત-પિશાચના નામે ફેલાવવામાં આવતી અંધશ્રદ્ધા સામે છે. તેમનું માનવું છે કે બાબા બાગેશ્વર પોતાના ચમત્કારોના દાવાઓથી નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ જ કારણસર તેઓ ખુદ દિવ્ય દરબારમાં હાજર રહીને બાબા પાસે પોતાના સવાલોના સીધા જવાબો માંગવા માંગતા હતા.

આ પણ વાંચોઃ લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

સોશિયલ મીડિયા પર કર્યા હતા આકરા પ્રહારો

નોંધનીય છે કે, જ્યારથી રાજકોટમાં સનાતન ધર્મ સમિતિ દ્વારા બાબાની કથાની જાહેરાત થઈ છે, ત્યારથી જ પરસોત્તમ પીપળીયા તેનો સતત વિરોધ કરી રહ્યા છે. આજે સાંજે 7 થી 9 દરમિયાન યોજાનારા આ દિવ્ય દરબાર પહેલા પણ તેમણે ફેસબુક પર આકરા પ્રહારો કરતી પોસ્ટ વાયરલ કરી હતી.

બાબાનું નામ લીધા વિના તેમણે કટાક્ષ કરતા લખ્યું હતું કે, "લોકમેળામાં કોઈ જાદુગર ટોળામાંથી રાડો ઘડિયાળ કોણે પહેરી છે તે શોધી કાઢે છે, તે માત્ર એક ટેકનિક અને જાદુગરી છે, તેમાં કોઈ ઈશ્વરીય કૃપા નથી હોતી." આ ઉપરાંત અન્ય એક પોસ્ટમાં રામાયણનો સંદર્ભ આપતા તેમણે લખ્યું કે, "હરણનો કોઈ વિરોધ નથી, પરંતુ તેમાં જો મારીચ છુપાયો હોય તો તેનું શું કરવું જોઈએ?" આવા વેધક સવાલો ઉઠાવીને તેમણે બાબા બાગેશ્વરની પદ્ધતિઓ પર સીધો નિશાન સાધ્યો હતો.

આ પણ વાંચોઃ Exclusive: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન ક્યારે થશે? કહ્યું- 'હું જલ્દી જ...'