Rajkot Tragedy: રાજકોટની ટીઆરપી ગેમ ઝૉનના અગ્નિકાંડને લઇને એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યાં છે. હવે ખુદ સાંસદ રામ મોકરિયાએ મોટો ખુલાસો કર્યો છે. તેમને અધિકારીઓ પર તવાઇ બોલાવતા આરોપો લગાવ્યા છે કે, અધિકારીઓ ભ્રષ્ટ છે. વહીવટ થાય છે અને વહીવટ પુરો થયા બાદ નૉટિસો પણ ફાડી દેવામાં આવે છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝૉનમાં અગ્નિકાંડ થવાથી 27 લોકોના મોત થયા છે.


રાજકોટ ટીઆરપી ગેમ ઝૉન દૂર્ઘટનામાં 27 લોકો જીવતા હોમાઇ ગયા છે. હવે અધિકારીઓ પર સાંસદ રામભાઈ મોકરિયાએ મોટો ધડાકો કર્યો છે. મોકરિયાએ કહ્યું કે, અધિકારીઓ ભ્રષ્ટ છે, નૉટીસના નામે અધિકારીઓ વહીવટ જ કરે છે. નૉટીસ લઈને જાય છે વહીવટ થઈ જાય એટલે નૉટીસ ફાડી દે છે. રાજકોટને ખબર છે સાગઠિયા ભ્રષ્ટ અધિકારી છે. રામ મોકરિયાએ સાગઠિયા પર આરોપ લગાવતા જણાવ્યું કે, 75 હજારમાં કેવી રીતે કરોડોની મિલકત આવી ગઇ. અમૂક લોકોની ભલામણથી સાગઠિયાને રાખ્યો છે. સાગઠિયા 9-10 વર્ષથી ભ્રષ્ટાચાર કરે છે. રાજકોટ અગ્નિકાંડ એક દૂર્ઘટના નથી પરંતુ ભૂલ છે. બેદરકાર અધિકારીઓને સજા થવી જોઈએ. બેદરકાર અધિકારીઓ પાસેથી રૂપિયા વસૂલવામાં આવે, તેમની જમીનની જાહેર હરાજી કરીને મૃતકોના પરિવારજનોને વધુ વળતર આપવું જોઇએ.


સાંસદ રામભાઈ મોકરિયાએ અધિકારીઓ અને અગ્નિકાંડ મામલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમને ખુદ એકરાર કર્યો છે કે ભ્રષ્ટાચાર વધ્યો છે. રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે ડેપ્યુટી ફાયર ઓફિસરને પૈસા આપ્યા હોવાની માહિતી મળી રહી છે. જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે ફાયર એનઓસી માટે મેં પણ પૈસા આપ્યા હતા.


ભાજપના સાંસદ રામ મોકરિયાએ સ્વીકાર્યું- ‘મે પણ ફાયર NOC માટે આપ્યા હતા 70 હજાર રૂપિયા’


રાજકોટમાં ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો હતો. ફાયર અધિકારીએ સાંસદને પણ ન છોડ્યા હોવાનો ખુલાસો થયો છે. ભાજપના સાંસદે ફાયર એનઓસી માટે ફાયર ઓફિસરને 70 હજાર રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. ભાજપ સાંસદ રામ મોકરીયા રૂપિયા આપવા મજબૂર થયાનો ધડાકો કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે ફાયર NOC માટે તેમણે ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને 70 હજાર રૂપિયા આપ્યા હતા. રામ મોકરીયાએ કહ્યું કે બિઝનેસમેન હતો ત્યારે 70 હજાર રૂપિયા આપ્યા હતા. સાંસદ બનતા અધિકારી પાસેથી રૂપિયા પરત લીધા હતા.


ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાની હાલમાં ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. રામભાઈ મોકરિયાએ મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી પરંતુ કહ્યું હા મારી પાસેથી રૂપિયા લીધા હતા.રામભાઈ મોકરીયા માત્ર બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે લેવા માટે 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. બાદમાં રામભાઈ મોકરીયા સાંસદ બન્યા ત્યારે ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી 70 હજાર રૂપિયા મંગાવ્યા હતા. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70 હજાર નાખી રામભાઈ મોકરીયાને પરત આપ્યાનો દાવો છે.


બિભત્સ શબ્દો બોલતા રામ મોકરીયાનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ


ભાજપના સાંસદ રામ મોકરીયા મીડિયાના સવાલ પર બિભત્સ શબ્દો બોલતા હોય તેવો વીડિયો  વાયરલ થઇ રહ્યો છે. મોકરીયાએ સાંસદ પદની ગરીમાને લજવી હતી. મીડિયાના સવાલ રામ મોકરીયા અકળાયા હતા અને જાહેરમાં અશ્લિલ ચેષ્ટા કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ગઈકાલે પત્રકારોએ રામભાઈને તીખા સવાલો કરતા ચાલતી પકડી હતી.


અધિકારીઓની કરાશે પૂછપરછ


રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ઉચ્ચ અધિકારીઓની સીટ દ્ધારા પૂછપરછ કરાશે. અધિકારીઓના તબક્કાવાર નિવેદન લેવાશે. આજે IAS, IPS અધિકારીઓના નિવેદન લેવાશે. તત્કાલિન મનપા કમિશ્નર આનંદ પટેલ, તત્કાલિન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું પણ નિવેદન લેવાશે. વિધિ ચૌધરી સહિતના અધિકારીઓના નિવેદન લેવાશે. SIT વડા સુભાષ ત્રિવેદી અધિકારીઓની પૂછપરછ કરશે. ગાંધીનગર પોલીસ ભવનમાં તમામ અધિકારીઓની પૂછપરછ કરાશે. 2021થી 2024 સુધી ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓના નિવેદન લેવાશે.