Rajkot: ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવા તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. આ લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી. જેની સત્યતા ચકાસી તુરંત યોગ્ય પગલા પણ લેવામાં આવી રહ્યા છે.


રાજકોટમાં ભાજપના કાર્યકર પિન્ટુ રાઠોડ સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. પિન્ટુ રાઠોડ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડનો ભાઈ છે. થોરાળા પોલીસે આકરી કલમ લગાડી દાખલ ગુનો કર્યો છે. પિન્ટુ રાઠોડ એક પરિવારે લીધેલી વ્યાજની રકમ ન આપતાં ધમકી આપતો હતો.  


વડોદરામાં વ્યાજખોરે સમયસર વ્યાજ ન ચૂકવી શકતાં યુવકને કહ્યું, નાણાં ન હોય તો તારી પત્નીને મોકલી આપ


રાજ્યના ગૃહ મંત્રી દ્વારા વ્યાજ ખોરો સામે ઉપાડવામાં આવેલી ઝુંબેશમાં વડોદરા ખાતે યોજવામાં આવેલા લોક સંવાદમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. વ્યાજખોરોથી ત્રસ્ત ફરિયાદીએ કહ્યું કે, વ્યાજ ખોરોએ તેને નાણાં ન હોય તો તારી પત્નીને મોકલી આપ તેમ કહ્યું હતું. આ સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી અને ગણતરીના કલાકોમાં જ રાવપુરા પોલીસે વ્યાજખોર પ્રતાપસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી હતી.


ભાવનગરમાં  પોલીસ જ વ્યાજે પૈસા આપી કરતો હતો પઠાણી ઉઘરાણી


ભાવનગર ખાતે યોજવામાં આવેલા લોક સંવાદમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાનું સામે આવતા સોંપો પડી ગયો હતો. પરિવારને કાયદાનો ડર બતાવી ધાક ધમકી આપી વ્યાજ વસૂલવામાં આવતું હતું. આ અંગે ભાવનગર આઈજીને રજૂઆત કરતા મહિલા રડી પડી હતી. ત્યારે જોવાનું રહ્યું કે આ અંગે ગૃહ મંત્રી દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવે છે કે નહીં.


 ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો ના ત્રાસ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એસ.પી.કચેરીના તાલીમ ભવન ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમમાં ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમાર,જિલ્લા પોલીસ વડા ડો.રવીન્દ્ર પટેલ, ડી.વાય.એસ.પી.સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અને વ્યાજખોરોના ત્રાસ અંગે લોકોની રજુઆત સાંભળી હતી.ભાવનગર શહેર અને જિલ્લામાં કોઈપણ વ્યક્તિને વ્યાજખોરોનો ત્રાસ હોય તો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોલીસની સહાય માંગવા લોક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ જણાવી વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે તેવી હૈયાધારણા આપી હતી.


ભાવનગરના ડીએસપી કચેરી ખાતે લોક સંવાદ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ વિસ્તારમાંથી વ્યાજખોરના ત્રાસથી પરેશાન લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા આ સંવાદમાં કુલ આઠ ફરિયાદો થઈ છે જેમાં પોલીસ દ્વારા તમામની રજૂઆત સાંભળી કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે આ સાથે જ આવનારા દિવસોમાં પણ વિવિધ પોલીસ સ્ટેશન હેઠળ વ્યાજ કોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.