રાજકોટઃ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ અત્યારે તેમના રાજકોટસ્થિત નિવાસસ્થાને પહોંચ્યો છે. અમીન માર્ગ સ્થિત સાગર ટાવર ખાતે પાર્થિવ દેહ પહોંચ્યો છે. શાસ્ત્રોક વિધિ કરી બાદમાં અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ મુકવામાં આવશે. બપોરે 2.30 વાગ્યા બાદ કાલાવડ રોડ સ્થિત મોટા મવા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે.


નોંધનીય છે કે, ગઈ કાલે તેમનું નિધન થયું હતું. કોરોનાની સારવાર પછી તેમને ફેફસામાં તકલીફ ઉભી થતાં તેમને ચેન્નઇની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અહીં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.



અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો. હવે અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને લવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચડાસમા, જયેશ રાદડિયા, વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે. કોવિડ ગાઈડલાઈન મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.