રાજકોટઃ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઈ કાલે નિધન થયું હતું. કોરોનાની સારવાર પછી તેમને ફેફસામાં તકલીફ ઉભી થતાં તેમને ચેન્નઇની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અહીં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.


અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો. હવે અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને લવાઈ રહ્યો છે. તેમનો પાર્થિવ દેહ લીંબડી પહોંચ્યો છે. બપોરે 12.30 થી 1 વાગ્યા સુધીમાં પાર્થિવ દેહ રાજકોટ તેમના નિવાસ સ્થાને પહોંચશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચડાસમા, જયેશ રાદડિયા, વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે. કોવિડ ગાઈડલાઈન મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.



બપોરે 1થી 3 એમ બે કલાક માટે રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે મુકાશે અને ત્રણ વાગ્યે અંતિમ સંસ્કાર કરાશે. કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધી કરાશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહેશે.