Rupala Controversy: ક્ષત્રિય સમાજ અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. હવે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક યોજાશે. આજે સાંજે પાટીદારો રાજકોટમાં ચિંતન બેઠક કરશે. કડવા અને લેઉવા પાટીદારોની આજે સંયુક્ત બેઠક યોજાશે. રાજકીય લાભ ખાટવા વિરોધ પ્રદર્શનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Continues below advertisement

સૌરાષ્ટ્ર એસપીજી રૂપાલાના સમર્થનમાં

સૌરાષ્ટ્ર એસપીજી પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર SPGના અધ્યક્ષ કલ્પેશ ટાંકે સોશલ મીડિયામાં પોસ્ટ કરી સમર્થન આપ્યું હતું. માફી બાદ પણ ક્ષત્રિય સમાજ વિરોધ કરતા SPG સમર્થનમાં આવ્યું  હતું. સૌરાષ્ટ્ર SPGના અધ્યક્ષ કલ્પેશ ટાંકે કહ્યું કે ક્ષત્રિય સમાજે હવે માફી આપવી જોઈએ. રૂપાલાને તમામ રીતે સહયોગ આપીશું. ટિકિટ રદ્દ ન થાય તેવા પ્રયાસો કરાશે.

Continues below advertisement

રૂપાલાએ બે વાર માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ વિરોધ કરતા SPG સમર્થનમાં આવ્યું હતું. એસપીજી ગ્રુપે કહ્યું કે ક્ષત્રિય સમાજ દ્વારા હવે પરસોતમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પરસોતમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી SPG મદદ કરશે. ક્ષત્રિય સમાજના આગેવાન અને પાટીદાર વચ્ચેની ઓડિયો બાબતે પોલીસમાં અરજી કરશે.

લલિત વસોયાએ શું કહ્યુ?

આ મામલે રાજકોટ પાટીદાર આગેવાન લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું. તેમણે ફેસબુક પર વીડિયો શેર કરી જણાવ્યું હતું કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહી પરંતુ રૂપાલા સામે લડી રહ્યા છે. કેટલાક લોકો બને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય પૈદા થાય તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે.

નોંધનીય છે કે રાજકોટ લોકસભા બેઠકથી પરશોત્તમ રૂપાલાને બદલવાની માંગને લઈને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો એકજૂથ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ સાથેની બેઠકમાં પણ આ જ મુદ્દે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અડગ રહી હતી. એટલું જ નહીં રૂપાલાને રાજકોટ જ નહીં પરંતુ કોઈપણ બેઠકથી ભાજપ ચૂંટણી લડાવશે તો તેના વિરોધની પણ જાહેરાત સંકલન સમિતિના તમામ નેતાઓએ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી સાથે કોઈપણ પ્રકારનો વાંધો ન હોવાનો અને માત્રને માત્ર રૂપાલાની ઉમેદવારીથી જ તકલીફ હોવાનો ક્ષત્રિય સમાજનો મત છે. ક્ષત્રિય સમાજે વ્યક્ત કરેલી લાગણી સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેલા ભૂપેન્દ્રસિંહ સહિતના નેતાઓએ પ્રદેશ ભાજપ સુધી પહોંચાડી છે. એટલું જ નહીં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ પણ માફી માંગી ચૂક્યા છે. આ સંજોગોમાં રૂપાલા મુદ્દે ભાજપ પક્ષ હવે શું નિર્ણય કરશે તેના પર તમામની નજર છે.