કોરોના વાયરસ સામે લડવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને 42 લાખ રૂપિયાની મદદ કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Mar 2020 06:15 PM (IST)
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પ્રધાનમંત્રી રિલીફ ફંડ અને ગુજરાત પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં 42 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
રાજકોટ: કોરોના વાયરસ સામે લડવા માટે સામાન્ય જનતાથી લઈને ઉદ્યોગપતિઓ સરકારને આર્થિક સહાય આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પ્રધાનમંત્રી રિલીફ ફંડ અને ગુજરાત પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં 42 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બંને રિલીફ ફંડમાં 21-21 લાખ રૂપિયા આપશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને એક નિવેદનમાં કહ્યું, 'કોરોના વાયરસના આ ભયંકર સમયમાં એસસીએ દેશના નાગરિકોની ચિંતા કરે છે. અમે બધા ભારતીયોને ઘરમાં રહેવાની અપીલ કરીએ છીએ.' SCA પહેલા બંગાળ ક્રિકેટ એસોસિએશને પણ રાજ્ય સરકારને 25 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ 50 લાખ રૂપિયાના ચોખા આપવાની વાત કહી છે. માસ્ટર બ્લાસ્ટર સચિને પણ 50 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. કોરોના વાયરસથી ભારત સહિત સંપૂર્ણ દુનિયા પ્રભાવિત છે અને દેશમાં અત્યાર સુધી તેનાથી 17 લોકોના મોત થયા છે. ભારત સરકારે સાવચેતીના પગલા તરીકે દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 75 નવા કેસ સામે આવ્યા છે અને ચાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 724 કેસ સામે આવ્યા છે અને કોરોના વાયરસના કારણે દેશમાં 17 લોકોના મોત થયા છે.