ગુજરાતમાં હાલ મનપાની ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મનપાની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પુનઃપ્રવેશ કર્યો હતો અને તેમણે રાજીવ સાતવના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જોકે છેલ્લા ઘણા સમયથી તેમની ઘરવાપસીની ચર્ચાઓ ચાલી રહી હતી.


2017ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં પુનઃપ્રવેશ કર્યો હતો. મહત્વનું છે કે, જુથવાદના કારણે કોંગ્રેસ છોડનારા ઈન્દ્રનીલ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી સામે ચૂંટણીમાં હાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં જોડાયા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને અર્જૂન મોઢવાડિયા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજોની હાજર રહ્યાં હતાં.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂના કોંગ્રેસમાં આગમનથી રાજકોટ કોંગ્રેસ વધુ મજબૂત બનશે. આ અંગે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હા હું ફરી કોંગ્રેસમાં સક્રિય થવાનો છું અને ફરી રાજકારણમાં સક્રિય થઈશ.