Rajkot Game Zone Fire:  રાજકોટના ગેમઝોન અગ્નિકાંડથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આ ગોજારી ઘટનામાં 24 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ અગ્નિકાંડ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે.  દુર્ઘટના અંગે રાજયસ્તરની SITની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં SIT તપાસ કરશે. રાજ્યના ચારથી પાંચ સિનિયર પોલીસ અધિકારીઓ SITમાં સામેલ થશે. 


આઈપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ SITની રચના કરવામાં આવી છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ SITમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે SIT ના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે. જો કે, હજુ સુધી આ આગ ક્યા કારણે લાગી તેની માહિતી સામે આવી નથી.  તપાસ બાદ જ સત્ય સામે આવશે કે, આ 22 લોકોને ભરખી જનાર આગ ક્યા કારણે લાગી હતી.


રાજ્યમાં  તમામ ગેમ ઝોનની તપાસણી  કરવા તેમજ ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમ ઝોન  બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકએ પોલીસ કમિશનરઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકઓને સૂચના આપી છે. આ કાર્યવાહી  મહાનગપાલિકાઓ તથા નગરપાલિકાઓના  ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં  રહીને કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજકોટ શહેરમાં ગેમ ઝોન આગ દુર્ઘટનાને પગલે આ સૂચનાઓ આપવામાં આવી છે.


મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર સહાયની જાહેરાત


રાજકોટ આગ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. સીએમએ સોશિયસ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,


 




રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.


રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.


આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.


સીએમ ભૂપેન્દ્ર પટેલે સાથે પીએમએ વાત કરી


 






સીએમએ લખ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.



પોલીસે 4 લોકોની અટકાયત કરી


રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.