રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં પ્રવેશતા સાંઢીયા પૂલ નજીકના મામાદેવના મંદિર પાસે અનોખો બસ અકસ્માત સર્જાયો હતો.  જસદણ-ધોરાજી-ભાડેર રૂટની  GJ 18Z 2273 નંબરની એસટી બસે અકસ્માતની વણઝાર સર્જી છે.  એસટી બસની બ્રેક ફેઇલ થતા બે કાર,ટેમ્પો,ત્રણ બાઈક સહિતના વાહનોને  ટક્કર મારી હતી. 


બ્રેક ફેઇલ થયેલ એસટી બસ સામેથી આવતી અને ડ્રાઈવરે ઉભી રાખેલ અન્ય એસટી બસના સહારે ઉભી રહી હતી. પૂલ ઉપર અન્ય એક એસટી બસનું પંચર પડ્યુ હોવાની વિગતો છે. અકસ્માતમાં ત્રણ વ્યકિતઓને ઇજા થતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  આ અકસ્માતના કારણે સાંઢીયા પૂલ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.  આ ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડીને ટ્રાફિક દૂર કર્યો છે.  


સસ્તુ સોનુ લેવાના ચક્કરમાં વેપારી પાસેથી છરીની અણીએ 7 લાખની લૂંટ


સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી વેપારી સાથે લૂંટની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ઝડપી લીધા છે.  રાજસ્થાનના એગ્રોના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ભુજ બોલાવી ચાર શખ્સોએ છરી બતાવી 7 લાખની લૂંટ ચલાવી હતી. રાજકોટના જંકશન પ્લોટમાં ગેબનશાપીરની દરગાહે સલામ માટે આવ્યાની બાતમીના આધારે એસઓજીના સ્ટાફે ચારેયને ઝડપી કાર અને રોકડ મળી 14.61 લાખનો મુદામાલ કબજે કર્યો છે. 


સસ્તું સોનુ ખરીદવાની લાલચ રાજસ્થાનના એગ્રોના વેપારીને ભારે પડી છે. વેપારી બજાર કિંમત કરતા 25 ટકા ઓછી કિંમતે સોનુ ખરીદવા ભુજ સુધી આવી પહોંચ્યા અને તેઓ લૂંટારૂઓનો શિકાર બની ગયા હતા. 


લૂંટારૂઓએ વેપારીને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ભુજ બોલાવી અલગ- અલગ જગ્યાએ લઈ જઈ બાદમાં છરીની અણીએ રૂપિયા સાત લાખની લૂંટ ચલાવી હતી. જેની ફરિયાદ નોંધાતા ગઈકાલે રાજકોટ શહેર SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચાર લૂંટારૂઓને 2.35 લાખની રોકડ તેમજ ક્રેટા ગાડી સહિત કુલ 14.61 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 
વેપારીને ભૂજ બોલાવી છરીની અણીએ લૂંટ


રાજકોટના જંકશન પ્લોટમાં ગેબનશાપીરની દરગાહ પાસે ગતરાતે જી.જે.18 ઇએ 4711 નંબરની ક્રેટા કારમાં ચાર શખ્સોની શંકાસ્પદ હીલચાલના આધારે એસઓજી પી.આઇ. જે.ડી.ઝાલા, એએસઆઇ ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, દિગ્વીજસિંહ ગોહિલ, અને હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે ચારેય શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા તે તુલશી મીલ પાસે રહેતા રમજાન કાસમશા શેખ, અમનશા જમાલશા શેખ, અલીશા કરીમશા શેખ અને ઇસભશા આલીશા શેખ હોવાનું અને તેઓએ ગત તારીખ 9 જાન્યુઆરીએ રાજસ્થાનના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ભૂજ બોલાવી છરીની અણીએ લૂંટ ચલાવ્યાની રાજકોટ ગેબનશા પીરની દરગાહે સલામ માટે આવ્યાની કબુલાત આપી હતી.