પોરબંદરઃ બે દિવસથી ગુમ સગર્ભા મહિલા વનકર્મી અને તેના પતિ સહિત 3 લોકોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોરબંદરના જંગલમાં વનકર્મી તેમના પતિ અને રોજમદાર સહિત 3 લોકો લાપતા બન્યા હતા. આજે સવારે બરડા ડુંગર વિસ્તારમાંથી ત્રણેયની લાશ મળી આવી છે. જોકે, મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે.


અલગ અલગ બે સ્થળોએથી આ મૃતદેહો મળી આવ્યા છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે વન વિભાગમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બે દિવસથી વનવિભગ અને પોલીસ દ્વારા શોધખોળ થઈ રહી હતી. મહિલા વનકર્મી સહિત 3ની હત્યાની આશકા સેવાઇ રહી છે. મહિલા વનકર્મીના પતિ શિક્ષક છે. બખલ્લા અને કાટવાણા વચ્ચે તેમની ગાડી મળી આવી હતી. આ પછી વન વિભાગ દ્વારા બરડા ડુંગરમાં રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

પોરબંદર વન વિભાગમાં છેલ્લા ત્રણે વર્ષથી બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલબેન કિર્તિભાઇ રાઠોડ, તેમના શિક્ષક પતિ કિર્તિભાઇ રાઠોડ અને રોજમદાર કર્મચારી નાગાભાઇની લાશ મળી આવી છે. તેઓ બરડા ડુંગરમાં તેમની ફરજ પરની બીટ ગોઢાણા બીટ પર ગયા હતા અને બે દિવસથી સંપર્ક વિહોણા બની ગયા હતા.