જામનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જામનગરમાં કોરોનાના નવા 9 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે નોંધાયેલા તમામ કેસ જામનગર શહેરના છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 135 ઉપર પહોંચી છે.


જૂનાગઢમાં પણ આજે વધુ ત્રણ કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ કેસ જૂનાગઢ શહેરના છે. શીશુમંગલ ક્રોસ રોડ મહાકાલ મંદિર પાસે 72 વર્ષના પુરૂષ , ઓઘડનગર જોશીપરામાં 42 વર્ષના પુરૂષ અને સીલ્વર પાર્ક સોસાયટી બ્લોક નં 3 ઝાંઝરડા રોડ ચોકડી પાસે 32 વર્ષના પુરૂષને કોરોના થયો છે. આમ, જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 55 થઈ છે.

અમરેલી જિલ્લામાં આજે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાવરકુંડલાના 47 વર્ષીય પુરુષ ( સાવરકુંડલા નાગરિક બેંકના પુર્વ ચેરમેન અને સેવાભાવી વ્યક્તિ ) અને અમરેલીના ઈશ્વરીયા ગામના 50 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 44 પર પહોંચી છે.

આજે બોટાદના સાળંગપુરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. 61 વર્ષના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આધેડ કેન્સર પેસેન્ટ હોવાથી સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. બોટાદ જિલ્લામાં કોરોનાના ટોટલ 75 કેસો થયા છે. જેમાંથી 58 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. હાલ 15 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.