રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં આજે પણ નવા કેસો સામે આવ્યા છે. આજે રાજકોટ, ભાવનગર, જામનગર, બોટાદ, અમરેલી અને દ્વારકામાં નવા કેસ સામે આવ્યા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરમાં આજે ત્રણ દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં 2 પુરુષ અને 1 સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 3 પૈકી 2 દર્દી અમદાવાદથી પરત રાજકોટ આવ્યા હતા. 1 દર્દી પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવનો આંક 118એ પહોંચ્યો છે.


અમરેલી જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાવરકુંડલામાં 2 કોરોના પોઝિટિવ કેસ છે. જ્યારે ધારીમાં 1 અને અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયામાં 1 કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 31 થઈ છે. જ્યારે હાલ અમરેલી જિલ્લામાં 16 એક્ટીવ કેસ છે.



આજે ભાવનગરમાં વધુ બે કોરોનાના કેસ આવ્યા છે. એક મહિલા અને એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 32 વર્ષના પુરુષ અને 30 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તળાજા પંથકના જળવદર ગામના 32 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો ભાવનગરના વિદ્યાનગર વિસ્તારની 30 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં કોરોનાનો આંક 168એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 14ના મોત થઇ ચુક્યા છે.

જામનગરમાં પણ આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પડાણાના ૫૫ વર્ષીય પુરુષ અને થાવરીયાના ૨૪ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે બોટાદ શહેરના વિવેકાનંદ સોસાયટી-2 માં કોરોનાનો 1 કેસ આવ્યો છે. 52 વર્ષની મહિલાને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીને સારવાર માટે સાળંગપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ 68 કેસો થયા છે. જેમાંથી બે લોકોના મોત થયા છે . જ્યારે 57 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 9 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.



આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 31 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. RBSK આયુષ ભાણવડ ખાતે ફરજ બજાવતી મહિલા ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દ્વારકા જિલ્લામાંથી 15 જેટલી ટિમ ને ડેપ્યુટશન માં અમદાવાદ ખાતે મોકલાઈ હતી, જેમાં ભાણવડ ની RBSK આયુષ મહિલા ડોકટર પોઝિટિવ આવ્યા છે. દ્વારકા જિલ્લામાં પોઝિટિવનો આંક 17 એ પહોંચ્યો છે. હાલ 2 લોકો સારવાર હેઠળ છે.