સુરતઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળવાથી સમગ્ર વિશ્વમાં ખોફ છે. યુકેમાં વાયરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે ભારતના કોઇપણ એરપોર્ટ પર યુકેથી ફ્લાઈટમાં આવતા કે યુકે થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટાઈન થવું પડશે. માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે.


આ બધાની વચ્ચે બ્રિટનથી રાજકોટ આવેલી ત્રણ વ્યક્તિઓમાંતી બે વ્યક્તિઓ ગુમ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. બ્રિટનથી ત્રણ વ્યક્તિ વાયા મુંબઈ થઈ રાજકોટ આવી છે. રાજય સરકારે ઇમેલથી જાણ કરતા મનપાનુ આરોગ્યતંત્ર સતર્ક થયું હતું. તેમજ ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિનો સંપર્ક થતો નથી. બ્રિટનમાં કોરોનાના નવા સ્વરૂપ પછી બે વ્યક્તિ ક્યાં ગઈ તેને લઈને ખળભળાટ મચ્યો છે. સરકાર તરફથી મળેલા એડ્રેસ પર આ બે વ્યક્તિ ન પહોંચતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ 5 લોકો બ્રિટનથી સુરત આવ્યા હતા. 2 રાંદેર ઝોન,1 કતારગામ ઝોન અને 2 સેન્ટ્રલ ઝોનના રહેવાસી બ્રિટનથી સુરત આવ્યા હતા. બ્રિટનથી આવેલા નાગરિકોનો RT-PCR ટેસ્ટ કરાવાયો હતો. આ પાંચેય લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો છે. વિદેશથી આવતા તમામ લોકોના RTPCR ફરજિયાત કરવા પાલિકાએ નિર્ણય લીધો છે.

દિલ્હી એરપોર્ટ પર યુકેથી આવેલા 5 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમના સેમ્પલ નવા કોરોનાવાયરસ સ્ટ્રેન માટે મોકલવામાં આવ્યા છે. અહેવાલ મુજબ લંડનથી ફ્લાઇટ સોમવારે રાત્રે દિલ્હી એરપોર્ટ પર આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કોવિડ-19 નોડલ ઓફિસરે કહ્યું, 266 પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સ પૈકી 5 ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તેમના સેમ્પલ લઇને નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલમાં રિસર્ચ માટે મોકલવામાં આવ્યા છે.