રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.   હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  11 અને 12 એપ્રિલે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે. 11 એપ્રિલે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં માવઠું પડશે.  12 એપ્રિલે જૂનાગઢ,  ગીર સોમનાથ,  પોરબંદર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં  માવઠું પડશે. 


હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે તાપમાનનો પારો પણ વધશે.   પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. શનિવારે વડોદરા અને ભાવનગર જિલ્લાનું મહુવા સૌથી ગરમ રહ્યા હતા.  આ બંને શહેરોમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ભૂજમાં 38 અને અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  


Gujarat: રાજ્યમાં 9 લાખથી વધુ વિદ્યાર્થી આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા


રાજ્યમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષા  યોજાશે. 1100થી વધુ જગ્યા માટે અંદાજે સાડા નવ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.  રાજ્યના 32 જિલ્લાના 3 હજારથી વધુ કેન્દ્ર પર લેવાનારી પરીક્ષાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે.


બપોરે સાડા બારથી દોઢ વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પરંતુ ઉમેદવારોએ પોણા બાર સુધી પરીક્ષા કેન્દ્રની અંદર પહોંચી જવું પડશે.  નિયત સમય બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં અપાય. આ ઉપરાંત ઉમેદવારો પાન, ઓળખકાર્ડ, કોલ લેટર સિવાય કોઈ પણ વસ્તુ વર્ગખંડમાં નહીં લઇ જઈ શકે. બુટ-ચંપલ પણ વર્ગ ખંડની બહાર કાઢવા પડશે.


પેપરલીક કે ગેરરીતિ જેવી ઘટના ન બને તે માટે પોલીસ અને પ્રશાસને પણ ખાસ તૈયારી કરી છે.  વર્ગ ખંડથી લઈને પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે. પોલીસ કર્મચારીઓ બોડી ઓન કેમેરા  સાથે તૈનાત રહેશે.  









 


Gujarat:  મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા


મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.  પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ  કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી  7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 


કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.


કિરણ પટેલને રાત્રે અમદાવાદ લવાયો


કિરણ પટેલને રાત્રે 2.30 કલાકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ  મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં  કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં  પૂછપરછ થશે.