ભારતમાં બનનારી સિરમની કોરોના રસીની કિંમતને લઈ મહત્વના સમાચાર, જાણો કેટલામાં મળી શકે છે રસી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Dec 2020 03:33 PM (IST)
મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે, એસઆઇઆઇ ભારત સરકાર સાથે સપ્લાય કોન્ટ્રાક્ટ સાઇન કરી શકે છે. તેમજ કોરોનાની રસીના એક ડોઝની કિંમત 250 રૂપિયા નક્કી કરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. લગભગ થોડા જ સમયમાં ભારતને 6 કરોડ કોરોનાના ડોઝ મળે તેવી શક્યતા છે.
નવી દિલ્લીઃ દિવાળી પછી ગુજરાત સહિત દેશમાં કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે લોકો કોરોનાની રસી સામે મીટ માંડીને બેઠા છે. એવા સમયે કોરોનાની રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં બનનારી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(SII)ની કોરોના રસી હવે ગમે ત્યારે ભારતમાં ઉપલબ્ધ બની શકે છે. એસઆઇઆઇ દ્વારા ભારત સરકાર પાસે રસીના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે અને આ માટે ટૂંક સમયમાં જ કરાર થઈ શકે છે. એસઆઇઆઇ પહેલી ભારતીય ફાર્મા કંપની છે, જેણે અમેરિક બેઇઝ ફાર્મા કંપની ફાઇઝર પછી દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હોય. મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે, એસઆઇઆઇ ભારત સરકાર સાથે સપ્લાય કોન્ટ્રાક્ટ સાઇન કરી શકે છે. તેમજ કોરોનાની રસીના એક ડોઝની કિંમત 250 રૂપિયા નક્કી કરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. લગભગ થોડા જ સમયમાં ભારતને 6 કરોડ કોરોનાના ડોઝ મળે તેવી શક્યતા છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવા પણ દાવો કરાયો છે કે, ભારત સરકાર આ કરાર કરશે, તો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021 સુધીમાં ભારતને કોરોનાની રસીના 10 કરોડ ડોઝ મળી શકે છે. નોંધનીય છે કે, એસઆઇઆઇ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા સાથે મળીને કોરોનાની રસી ડેવલપ કરી રહી છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં 40 મિલિયન ડોઝ સિરમ દ્વારા તૈયાર કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. સિરમની રસનું નામ કોવિશિલ્ડ 'Covishield' છે. જે 2થી 8 સેલ્સિયસ તાપમાનમાં રાખી શકાય છે.