સુરતઃ શહેરના અડાજણમાં કારની લે-વેચ કરતા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકના આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોમવારે રાત્રે પત્ની સાથે ઝઘડો થયા પછી યુવકે આપઘાત કરી લીધો હતો. ઘરેથી ઝઘડો કરીને નીકળેલા યુવકની મિત્રો શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે શોધખોળ દરમિયાન યુવકની લાશ મળી આવી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, અડાજણ સ્થિત કલાપી રેસિડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉ.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીને અન્ય યુવકો સાથે અફેર હોવાની શંકાને લઈને ઝઘડો થતાં પારસે આપઘાત કરી લીધો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. પાલ RTO સામેના નવનિર્મિત કોમ્પલેક્સ નીચેથી પારસની લાશ મળી આવી હતી. 108 અને અડાજણ પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આપઘાત પહેલા પારસે પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા.

લોકડાઉનના સમય ગાળા દરમિયાન ગાડી લે-વેચનો ધંધો ચાલતો ન હતો, જેને કારણે આવક બંધ થઈ ગઈ હતી. બીજી તરફ પારસ પત્નીના ચારિત્ર પર શંકા કરતો હતો. જેને કારણે વારંવાર પારિવારિક ઝઘડા થતાંમાનસિક તણાવમાં રહેતો હોવાનું તેના સંબંધીઓએ જણાવ્યું હતું. સોમવારે રાત્રે પત્ની ઝઘડો થયા બાદ પારસ ઘરેથી નીકળી ગયો હતો.

આ પછી પરિવારે તેને ઘણા ફોન કર્યા પણ તેનો સંપર્ક ન થતા મિત્રોની મદદ માંગી હતી. કર્ફ્યુના સમયમાં પણ મિત્રો પારસને શોધવા નીકળ્યા હતા. શોધખોળ દરમિયાન પારસની લાશ મળી આવી હતી. અડાજણ પોલીસે પારસ આપઘાત કેસમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.