સુરત: સમયની સાથે સાથે આપણા સમાજમાં અનેક પ્રથાઓ બદલાઈ છે. પહેલાના જમાનામાં જ્યારે માતા પિતાની મરજીથી લગ્ન થતા હતા ત્યારે આજના સમયનાં ઘણા યુવક યુવતીઓ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા લાગ્યા છે. આ માતા-પિતા માટે ચેતવણી સમાન છે. કારણ કે આ રીતે લગ્ન કરનારના પરિણામો ઘણીવાર ખરાબ પણ આવ્યા છે.  તમને જણાવી દઈએ કે, મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરવા મામલે સુરતના એક જ પોલીસ સ્ટેશનમાં 390 ફરિયાદ નોંધાઈ છે, જેમાં 23 ફરિયાદ તો સગીરાઓએ કરી છે.


સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા લોક દરબાર તેમજ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે. સરથાણા વિસ્તારના મમતા પાર્ક સોસાયટીની યોજાયેલા એક કાર્યક્રમમાં સ્થાનિકો દ્વારા જે કેટલીક બાબતો પોલીસ સમક્ષ મૂકવામાં આવી હતી તેમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. માત્ર સરથાણા વિસ્તારમાં જ એક વર્ષમાં મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરવા પુત્રીઓની વિરોધની 390 જેટલી ફરિયાદો આવી છે.  જે માતા-પિતા માટે પણ લાલબત્તી સમાન છે.  આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. ગુર્જર દ્વારા વાલીઓની જાગૃત કર્યા હતા.


અનેક પ્રશ્નો સ્વભાવિક રીતે સમાજ માટે પણ ઉભા થયા છે. સમાજના યુવાનોની માનસિકતામાં ખૂબ બદલાવ જોવા મળી રહ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 18 વર્ષ કરતાં મોટી ઉંમરની યુવતીઓ માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી હોય તેવી 300 કરતાં વધારે ફરિયાદ મળી છે  તેમજ 13 વર્ષ થી 17 વર્ષ સુધીની માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માગતી હોય તેવી 23 જેટલી ફરિયાદો મળી છે.  સગીરાઓ પણ યુવકો સાથે પોતાના માતા-પિતાની વિરોધમાં લગ્ન કરવા જ તૈયાર થઈ જતી હોય તો અનેક પ્રશ્નો સ્વભાવિક રીતે સમાજ માટે પણ ઉભા થઇ રહ્યા છે. આ અંગે પોલીસ દ્વારા વાલીઓને સજાગ કરવામાં આવ્યા છે.


સરથાણા પી.આઈ. એમ.કે. ગુર્જરે કેટલાક મહત્વના મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું કે, મા-બાપની મરજી વિરુદ્ધ યુવતીઓ લગ્ન કરવા ઈચ્છતી હોય એવી અનેક ફરિયાદો અમારા પોલીસ સ્ટેશનમાં પણ મળી રહે છે.  અત્યારે જે અમે આંકડા આપ્યા છે તે તો માત્ર સરથાણા પોલીસ સ્ટેશનમાં છે.  પરંતુ સુરતના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ કેટલા પ્રમાણમાં આવી ફરીયાદો નોંધાઈ હશે તે વિચારવા જેવી બાબત છે.  લોક દરબાર તેમજ અન્ય કાર્યક્રમોમાં અમે સતત લોકોનો સંપર્ક કરતાં રહીએ છીએ અને તેમને ઘણાં ગુનાઓ બાબતે સજાગ કરતા રહીએ છીએ.