સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈ તમામ માતા-પિતા અને શિક્ષણજગતમાં ચકચાર મચી ગઈ છે. સ્કૂલમાં સાથી મિત્રએ કહ્યું હતું કે, આજે ટીચર તને મારવાના છે. આ વાત સાંભળતાં ધોરણ 7ની વિદ્યાર્થિની ચાલુ સ્કૂલે જ ઘરે ભાગી ગઈ હતી અને ઘરે આવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. વિદ્યાર્થિની પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.


મળતી માહિતી મુજબ, 13 વર્ષની સુહાની સુરતના કોસમાડા ગામે સરદાર આવાસ ફળીયામાં રહે છે. તે ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. એક દિવસ અગાઉ પેટમાં દુખાવો થતાં તેણે શાળામાં રજા પાડી હતી અને એક દિવસ બાદ ફરીથી શાળાએ ગઈ ત્યારે શાળાની અન્ય બહેનપણીએ મજાક મસ્તીમાં સુહાનીને કહ્યું કે, આજે ટીચર તને મારવાના છે.

ટીચર મારવાના છે તે વાત સાંભળીને જ સુહાની ફફડી ગઈ હતી. તેને ખ્યાલ ન આવ્યો કે તેની ફ્રેન્ડ મજાક કરી રહી છે. મજાક મસ્તીની આ વાતને સુહાનીએ એકદમ ગંભીરતાથી લઈ લીધું હતું. વાત સાંભળ્યા બાદ તે બેગને સ્કૂલમાં જ મૂકીને ઘરે ભાગી આવી હતી અને ઘરે આવીને તેણે લોખંડની એંગલમાં દુપટ્ટો ભરાવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. તેના મૃતદેહ નજીક એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

સુસાઈડ નોટમાં શું લખ્યું છે?

સુસાઈડ નોટમાં સુહાનીએ લખ્યું હતું કે, મમ્મી-પપ્પા સોરી, બધાં મને નિશાળમાં બીવરાવીયા કરતે હૈ ને બધાં કેટા કે તને તીચર મારવાના હૈ એટલે પપ્પા મેં નથી જીવવાની. પપ્પા તમારી એક પોરી રાઘલી, રાઘલીને કોઇ મારતુની. મારા સપના પુરા કરજો.