સુરત: ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઈસરના પાંચ જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં સુરતમાં પણ એક ચીનથી આવેલા એક યુવકમાં શંકાસ્પદ કોરોના વાઈસરના લક્ષણો દેખાતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જોકે મહત્વની વાત એ છે કે, મંગળવારે આ દર્દી હોસ્પિટમાંથી ભાગી ગયો હતો જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું હતું.


થોડા દિવસ પહેલા ચીનથી આવેલા અને વરાછા વિસ્તારમાં રહેતા 41 વર્ષનો યુવાન 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. આ યુવાનને શરદી-ખાંસી જણાતા તથા કોરોના વાયરસનાં લક્ષણો દેખાતા તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે આ યુવાન સારવાર દરમિયાન મંગળવારે સિવિલ હોસ્પિટલમાંથી આરએમઓને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. જોકે આ ઘટનાને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. દર્દીએ લખાવેલ સરનામાના આધારે વરાછા અને ખટોદરા પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. મંગળવાર મોડી રાત્રે આ દર્દીની કોઈ ભાળ ન મળતા પોલીસ સ્ટેશને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પ્રીતિ કાપડિયાએ જણાવ્યું હતું કે, ચીનથી આવેલો યુવકને શરદી અને ખાંસીની ફરિયાદ હતી જેના માટે તેને આઈસોલેશન વોર્ડમાં ભરતી થવાનું કહ્યું હતું જોકે આ યુવક ગભરાઈ જવાના કારણે ભાગી ગયો હતો. ત્યાર બાદ સિવિલ તરફથી કલેક્ટર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ યુવક આઈસોલેશન વોર્ડમાં ભરતી થવા અને મેડિકલ ચેક પણ કરવા તૈયા થયો છે.