સુરત: ઓલપાડ ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની અડફેટે માસુમ વિદ્યાર્થીનું મોત થયું છે. 10 વર્ષનો માસુમ સમર રોડ ક્રોશ કરવા જતાં વાહનની અડફેટે આવી ગયો હતો. માતાની નજર સામે વાહન અડફેટે આવેલા સમરને નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલમાં દાખલ કરાયો હતો. ગંભીર ઇજાને લઈ 5 દિવસ સુધી મોત સામે લડી રહેલા માસુમ સમરનું આજે મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. સમરના માતા શાકભાજી વેંચી ગુજરાન ચલાવે છે. માતાનો હાથ છોડાવી સમર રોડ ક્રોશ કરવા દોડી ગયો હતો આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.


સુરત પોલીસનો સપાટો, ત્રણ જગ્યાએ સ્પામાં રેડ પાડી 41 લોકોની ધરપકડ કરી
ઉંમરા પોલીસે પ્રશંસનીય કામગીરી સામે આવી છે. ઉમરા પોલીસ દ્વારા ત્રણ જગ્યાએ સ્પામાં રેડ કરવામાં આવી હતી. જેમાં પાર્લે પોઇન્ટ, પીપલોજ અને વેસુ વિસ્તારનો સમાવેશ થાય છે. આ રેડમાં મહિલા અને પુરુષ મળીને કુલ 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 41 લોકોમાં 19 છોકરી અને 22 પુરુષનો સમાવેશ થાય છે. આ તમામ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ઉમરા પોલીસ દ્વારા આશરે 50000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની રેડને પગલે સુરત શહેરમાં સ્પાની આડમાં ચલવતા ગોરખધંધાના માલિકમાં ફફડાટ ફેલાયો છે.


ભારતી આશ્રમ વિવાદ મામલે નવો વળાંક,ધરપકડથી ઋષિ ભારતીજી પહોંચ્યા કોર્ટના શરણે
અમદાવાદ:  સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદ મામલે હવે નવો વળાંક આવ્યો છે. ધરપકડથી બચવા ઋષિ ભારતીજી કોર્ટના શરણે પહોંચ્યા છે. ઋષિ ભારતીજીએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ મામલે તપાસ અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. અરજીમાં રજુઆત કે હું આશ્રમના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છુ, હું કોઈ ગેરકાયદેસર પ્રવુતિમાં સંડોવાયેલો નથી. નોંધનિય છે કે, અમદાવાદના સરખેજ સ્થિત ભરતીબાપુના આશ્રમને લઈ સત્તાનો વિવાદ ચાલી રહ્યો છે. શિષ્ય યદુનંદન ભારતીજીએ ગુરુભાઈ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.


સુરતમાં અસદુદ્દીન ઔવેસીનો જોરદાર વિરોધ, મુસ્લિમ સમાજે ફરકાવ્યા કાળા વાવટા
સુરત: ગુજરાતમાં ચૂંટણી પહેલા દિલ્હીથી નેતાઓની અવર જવર વધી ગઈ છે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ભાજપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે, હવે આ કડીમાં AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે. જો કે સુરત આવેલા અસદુદ્દીન ઔવેસીને વિરોધનો સામનો કરવો પડ્યો છે. મીઠીખાડી વિસ્તારનાં મુસ્લિમ સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. ઔવેસીને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. ઉગ્ર વિરોધ કરવામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર હાજર રહ્યા હતા. ગત રોજ રાત્રે ઓવૈસીની લીંબયતમાં જાહેર સભા હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેમને ભાજપ અને RSSના એજન્ટ ગણાવવામાં આવ્યા છે.