Fake Ghee in Surat: ભેળસેળ કરનારાઓને જાણે તંત્રનો કોઈ ડર જ નથી તેમ બેફામ રીતે ભેળસેળ કરીને વસ્તુઓ વેચી રહ્યા છે. ત્યારે સુરતમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના રાંદેરમાંથી 225 કિલો નકલી ઘી ઝડપાયું છે. નકલી ઘી બનાવી અલગ અલગ ડેરીમાં વેચાણ થતું હોવાનો પણ ખુલાસો થયો છે. તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના ઘીના લોગો લાગેલા હતા. આ મામલે પોલીસે રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે.


ભેળસેળ ઘી બનાવવાની સાધનસામગ્રી તથા જેમીની વનસ્પતિ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૨ જેની કીં રૂ.૩૪૦૦/-ની મત્તાની તથા જેમીની રીફાઇન્ડ સોયાબીન તેલ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૫ જેની કુલ્લે કીં.રૂ.૮૨૫૦/-ની મત્તાની તથા રાગ વનસ્પતિ ૧૫ કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ નંગ-૦૩ છે જેની કુલ્લે કીં રૂ.૫૧૦૦/-ની મત્તાની તથા ભેળસેળ યુક્ત પતરાના ૧૫ કીલોગ્રામના ખુલ્લા ઢાંકણવાળા ડબ્બાઓ નંગ-૦૫ છે જેની કુલ્લે કીં રૂ.૧૨,૦૦૦/- ની મત્તાની તથા ભેળસેળ યુક્ત છુટક ૫.૫ કીલોગ્રામ ઘી જેની કુલ્લે કીં રૂ.૮૮૦/- ના મતાની ગણી જે તમામની કુલ્લે કીં રૂ.૨૯,૬૩૦/- ના મતાનો મુદ્દામાલ પોલીસે કબ્જો કર્યો છે.


નોંધનીય છે કે, ભેળસેળવાળુ ઘી ખૂબ જ સસ્તામાં તૈયાર થાય છે. જેના કારણે તેને અન્ય કરતા ઓછા ભાવે વેચીને પણ નફો મેળવી શકાય છે. આવી સ્થિતિમાં, લોકો વિચાર્યા વિના સસ્તામાં ઘીનો અમૂલ્ય લાભ મેળવવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ ભેળસેળવાળું ઘી શરીરને કોઈ ફાયદો નથી પહોંચાડતું, ઊલટું નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં, નકલી ઘી ઓળખવા માટે અમે તમારી સાથે ખૂબ જ સરળ ઉપાયો શેર કરી રહ્યા છીએ.


ઘીમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ તેલ, ઓગાળેલા માખણ, ડાલ્ડા અને હાઇડ્રોજનયુક્ત તેલ જેવા સસ્તા અને નબળી ગુણવત્તાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તેમાં છૂંદેલા બટાકા અને શક્કરિયા પણ મિક્સ કરવામાં આવે છે.


મીઠું મિનિટોમાં ઘીની શુદ્ધતા ઓળખી શકે છે. આ માટે એક વાસણમાં બે ચમચી ઘી મૂકો. આ વાસણમાં એક કે બે ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ 1/2 ચમચી મીઠું ભેળવીને મિશ્રણ તૈયાર કરો. હવે લગભગ 20 મિનિટ સુધી ઘી છોડ્યા પછી તેનો રંગ ચેક કરો. જો ઘી લાલ કે અન્ય કોઈ રંગનું દેખાય તો તે ભેળસેળવાળું છે.


ઘીમાં ભેળસેળ છે કે નહીં તે ઓળખવા માટે પહેલા એક ગ્લાસમાં પાણી ભરો. પછી એક ચમચીમાં ઘી કાઢીને તેમાં નાખો. જો ઘી પાણીમાં તરતા લાગે તો તે શુદ્ધ છે. ઊલટું જો ઘી પાણીમાં ડૂબી જાય તો તેમાં ભેળસેળ થાય છે.


ઘી અસલી છે કે નકલી તે ઓળખવા માટે તમારી હથેળી પર એક ચમચી ઘી લો અને તેને સારી રીતે ઘસો. લગભગ 10-12 મિનિટ સુધી આમ કર્યા પછી તેને સૂંઘી લો. જો ઘીમાં ગંધ ન હોય તો તે ભેળસેળયુક્ત છે. કારણ કે શુદ્ધ ઘીમાં એક અલગ જ મજબૂત સુગંધ હોય છે.


ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે તમે તેને ઉકાળીને ચકાસી શકો છો. આ માટે એક વાસણમાં 3-4 ચમચી ઘી ઉકાળો અને તેને 24 કલાક માટે તે જ વાસણમાં ઠંડુ થવા માટે છોડી દો. સમય પૂરો થયા પછી ઘી ચેક કરો. જો ઘીનો રંગ હજી પણ પીળો હોય, તે સંપૂર્ણ રીતે જામ્યો ન હોય, અને તેની ગંધ પહેલાની જેમ જ મજબૂત રહે તો તે શુદ્ધ ઘી છે.