સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત 20મી ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખવાની ઘટનામાં બારડોલીની એડિશનલ સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે.  મુખ્ય આરોપી દયાચંદને ફાંસીની સજા અને કાલુરામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.   બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા મુખ્ય આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. 


20 ફેબ્રુઆરી 2022ના રોજ જોળવામાં એક એપાર્ટમેંટમાં રહેતું દંપતી તેમના બંને સંતાનો 11 વર્ષની બાળકી અને 5 વર્ષનો બાળકને ઘરે એકલા મૂકીને મિલમાં કામ કરવા ગયું હતું. ત્યારે બપોરના 3.30 વાગ્યાની આસપાસ ભાઈ -બહેન રમતા હતા. તે સમયે 32 વર્ષીય દયાચંદ પટેલ નામનો શખ્સ ત્યાં આવીને ભાઈને ઘરે જવાનું કહી બાળકીનો હાથ પકડીને ક્યાક લઈ ગયો હતો. સાંજે માતપિતા ઘરે આવ્યા ત્યારે દીકરી નજરે નહીં પડતાં પુત્રને પૂછતાં તેણે દયાચંદ બેનની આંગળી પકડીને લઈ ગયો હોવાનું જણાવ્યુ હતું. માતાપિતાએ  શોધખોળ કરી હતી. બિલ્ડીંગના ખાલી રૂમોમાં તપાસ કરી હતી. તમામ રૂમ ખુલ્લા હતા. જ્યારે એક રૂમને તાળું મારેલું હોય શંકા જતાં તેમણે તાળું તોડતા અંદર બાળકીની લોહીલુહાણ હાલતમાં પડેલી અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ તેનુ મોત થયું હતું. 


સમગ્ર ઘટના અંગે પલસાણા પોલીસ દ્વારા દયાચંદ ઉમરાવ પટેલ  તેમજ મદદગારી કરનાર કાલુરામ જાનકી પ્રસાદ સામે પોકસો એક્ટ હેઠળ બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. આ કેસ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. જે બાબતે સોમવારના રોજ બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા બંને આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે સજાનું એલાન આજે કરવામાં આવ્યું હતું.  


Gujarat: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે, જાણો હવામાન વિભાગે  શું કરી આગાહી?


ખેડૂતો પરથી હજુ  માવઠાનું સંકટ નથી હટ્યું. આવતીકાલથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે  આ આગાહી  કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 29 થી 31 માર્ચ વરસાદ પડશે.


આવતીકાલે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે.  30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.  આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.  પરંતુ 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે.  આજે રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું  છે.  સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદ અને રાજકોટમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.