Amarnath Yatra: અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત થયું છે. અમરનાથમાં ભુસ્ખલનનાકારણે 55 વર્ષીય ઉર્મિલા ગિરીશ મોદીનું મોત થયું છે. ભુસ્ખલન દરમિયાન માથામાં પથ્થર વાગતાં તેમનું મોત થયું હતું.  તેના સંબંધી પ્રશાંત મોદીએ મંત્રી કુંવરજી હળપતિને જાણ કરી હતી. જે બાદ તેમણે સીએમઓમાં જાણ કરી હતી અને આજે તેમનો મૃતદેહ કામરેજ લાવવામાં આવશે.


મૃતક પાસે હતું અમેરિકાનું ગ્રીન કાર્ડ


મૃતક ઉર્મિલા મોદી છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં પુત્ર સાથે રહેતા હતા. તેઓ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવે છે. થોડા સમય પહેલા જ વિદેશથી ભારત આવ્યા હતા અને સુરતના કામરેજથી ટુર ટ્રાવેલ્સ દ્વારા અમરનાથ યાત્રાએ ગયા હતા. શનિવારે મોડી સાંજે હોટલ પરત ફરી રહ્યા હતા ત્યારે પગમાં દુખાવો થતાં ઘોડા પર બેસી આગળ વધી રહ્યા હતા. જ્યારે તેમના પતિ પગપાળા ચાલી રહ્યા હતા. દર્શન કરી પરત ફતી વેળા બાલાતાલ નજીકના વિસ્તારમાં અચાનક પહાડ પરથી પથ્થરો પડવાનું શરૂ થતાં નાસભાગ મચી હતી. આ ઘટનામાં ઘોડા પર સવાર ઉર્મિલા મોદીના માથા પર પથ્થર વાગતા ગંભીર ઈજા થઈ હતી અને ઘોડા પર નીચે ફસડાઈ પડ્યો હતો. ગંભીર ઈજાના કારણે સ્થળ જ પર તેમનું મોત થયું હતું.જ્યારે તેમના પતિનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના અંગે ટૂર ટ્રાવેલ્સમાં સાથે ગયેલા લોકોએ કામરેજ જાણ કરતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.આ અગાઉ પણ અમરનાથ યાત્રા દરમિયાન સુરતની મહિલાનું મોત નીપજ્યું હતું.




અમરનાથ યાત્રાનો ટોલ ફ્રી નંબર


જો તમને આ પ્રવાસ સંબંધિત કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય, તો તમે ટોલ ફ્રી નંબર 18001807198/18001807199 પર સંપર્ક કરી શકો છો.


બે રૂટથી થઈ શકે છે યાત્રા


બાબા અમરનાથની યાત્રા બે રૂટથી થઈ શકે છે. પહેલો પરંપરાગત રૂટ છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પહલગામ થઈને 48 કિમીનો અને બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિમીનો ટૂંકો પણ ઊંચો બાલટાલ માર્ગ છે. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા બંને રૂટથી એક સાથે શરૂ થશે. ગયા વર્ષની મેન્યુઅલ પ્રક્રિયાને બદલે આ વખતે મુસાફરો માટે આધાર ઓથેન્ટિકેશન આધારિત ફોર્મ જનરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. ગયા વર્ષ સુધી મુસાફરોને જાતે જ ફોર્મ આપવામાં આવતા હતા. હવે ફોર્મ સિસ્ટમ જનરેટ આપવામાં આવે છે. તમામ ઇચ્છુક પ્રવાસીઓએ સમગ્ર ભારતમાં નિયુક્ત ડોકટરો પાસેથી આરોગ્ય પ્રમાણપત્રો મેળવવા જરૂરી છે.