સુરતઃ ગુજરાત સહિત દેશ અને દુનિયા કોરોના મહામારીમાં લડી રહ્યો છે. ત્યારે હાલ, સુરત ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર છે. કોરોના મહામારીને કારણે ધંધા-ઉદ્યોગને અસર થતાં કેટલાય લોકો બેરોજગાર બન્યા છે. સુરતમાં પણ કેટલાય રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. તેમજ કેટલાક રત્નકલાકારોએ આર્થિક ભીંસને કારણે આત્મહત્યા કરી લીધી છે.


આવા રત્નકલાકારોની મદદે અમેરિકાના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ મેદાને આવ્યા છે. આવા પરિવારોને ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ કેરિયર ફાઉન્ડેશન, અમેરિકાના હીરા ઉધોગકારો મદદ કરશે. આર્થિક ભીંસથી આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને ૨૫ હજારની સહાય કરશે.

જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં આપઘાત કરનાર રત્નકલાકારોના પરીવારજનોને ડીઆઈસીએફ દ્વારા નોકરી આપવાનો પ્રયાસ કરવામાં આવશે. ઘરનું ગુજરાન ચલાવવા કરિયાણાની કીટ સહિત જીવન જરૂરિયાતની વસ્તુ આપવામાં આવશે. પરિવાર દીઠ 10 હજારથી 35000 હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

નોંધનીય છે કે, કોરોનાના સંક્રમણને લીધે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. કેટલાક રત્નકલાકારોએ આર્થિક સંકડામણથી ત્રાસી આપઘાત કર્યો છે. હાલ રત્ન કલાકારના પરિવારજનોની હાલત કફોડી થઈ છે. હીરા ઉદ્યોગ સંગઠનો દ્વારા આવા પરિવારોને કોઈ ખાસ સહાય નહીં મળતા આવા પરિવારોને ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ કેરિયર ફાઉન્ડેશન, અમેરિકાના હીરા ઉધોગકારો મૃતકના પરિવારજનોને મદદ પહોંચાડશે.