સુરતઃ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને કૃષિ સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 13મો દિવસ છે. ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ બંધની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન સુરતમાં રીક્ષાચાલકોએ મોટી જાહેરાત કરી છે.


સુરતમાં ઓટો રીક્ષા એસોસિએશનના પ્રમુખ  જયંતીભાઈ પ્રજાપતિએ કહ્યું, સંપૂર્ણ ગુજરાતમાં ઓટો રિક્ષા ચાલકો બંધના એલાનમાં નહીં જોડાય. આ દરમિયાન અમદાવાદમાં રીક્ષા એસોસિયેશનના જણાવ્યા મુજબ, શહેરમાં 11 વાગ્યા બાદ રીક્ષાઓ બંધ  કરાશે.માત્ર કોરોનાના દર્દીઓ અને સબંધીઓને જરૂરિયાત અનુસાર રીક્ષા દોડાવવામાં આવશે. બુધવારથી રીક્ષા રાબેતા મુજબ દોડાવવામાં આવશે.

અમદાવાદ સહિત રાજ્યના આશરે 4000 કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ સંચાલકો આ બંધમાં જોડાશે નહીં તેવું એસોસિએશને જાહેર કર્યું છે. 3 કંપનીના ચાર હજાર કરતા વધારે પેટ્રોલ પંપ મંગળવારે રાબેતા મુજબ કાર્યરત રહેશે તેમ એસોસિએશને જણાવ્યું છે.

બંધને સમર્થન આપીને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એપીએમસી-માર્કેટયાર્ડ બંધ રહેશે. ભારતીય કિસાન સંઘ અને ભાજપ પ્રેરિત એપીએમસી બંધથી અળગા રહેશે. 23 સંસ્થાઓ એ પણ બંધને ટેકો જાહેર કર્યો હતો. અમરેલી ઉપરાંત રાજકોટ, ગોડલ, ધ્રોલ , જસદણ , જામ જોધપુર , જૂનાગઢ, વિસાવદર, જામ ખંભાળિયા, હળવદ, ઉપલેટા, કાલાવડ, જામનગર સહિતના શહેરોમાં માર્કેટિંગ યાર્ડ ઉપરાંત એપીએમસી ભારત બંધના સમર્થનમાં બંધ પાળશે. મોરબી, વાંકાનેર, વિસનગર સહિતના શહેરોમાં વેપારીઓ બજાર બંધ પાળશે.