નર્મદાઃ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ આજે નાટકીય રીતે રાજીનામું પરત ખેંચ્યું હોવાની જાહેરાત કરી છે. આ અંગે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારું સ્વાથ્ય સારું રહેતું ન હોવાથી રાજીનામું આપ્યું હતું. ખરાબ સ્વાસ્થ્યને કારણે ભરુચ મતવિસ્તારમાં પ્રવાસમાં તકલીફ પડતી હતી. જોકે, સરકારે સાંસદ બની રહેશો, તો સરકાર તમારી સારવારનો ખર્ચ ભોગવશે અને તમારી સારવાર સારી રીતે થઈ શકશે, તેમ જણાવ્યું હતું. તેમજ તેમને સાંસદ પદે બની રહેવા માટે ભલામણ કરી હતી. એટલું જ નહીં, તેમના પ્રવાસની જવાબદારી અન્ય અધિકારીઓને આપવાની વાત કરી હતી. જેથી તેમણે રાજીનામો નિર્ણય પરત લીધો હોવાની જાહેરાત કરી હતી.


ગઈ કાલે રાજીનામું આપ્યા પછી સાંસદ વસાવાને મુખ્યમંત્રી રૂપાણીને મળવા માટે બોલાવ્યા હતા. આજે સવારે તેઓ લગભગ અડધો કલાક સુધી વનમંત્રી ગણપત વસાવા સાથે વાતચીત કરી હતી. આ પછી તેઓ પત્રકાર પરીષદમાં આવ્યા હતા. તેમજ તેમણે રાજીનામું પરત ખેંચ્યું હતું. આ સમયે તેમણે કોઈ પણ પ્રકારની રાજકીય સોદાબાજી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.

રાજીનામા પછી ગઈ મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ થયો હતો. ગાંધીનગર પહોંચેલા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું છે. પાર્ટી કે સરકાર સાથે કોઈ મતભેદ નથી. ગણપત વસાવા અને મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત પછી તેઓ વિગતવાર વાત કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. આજે વહેલી સવારે સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા રવાના થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત પહેલા તેઓ વનમંત્રી ગણપત વસાવા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.

ગઈ કાલે સાંસદ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા. તેમજ તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ પણ જોડાયા હતા. બેઠક બાદ ભરતસિંહે કહ્યું, મનસુખભાઇ સાથે જૂનો સંબંધ છે. ભાજપના અમે સાથે કામ કર્યું છે. એમની પ્રકૃતિને ઓળખું છું. નખશિખ પ્રામાણિક કામ કરે છે. કાર્યકર્તા માટે ઉદાહરણ રૂપ કામગીરી કરી છે. તેમની સાથે ચર્ચા થઈ છે. મારી તો શુભેચ્છા મુલાકાત હતી. પાર્ટી કે સરકાર માટે કોઈ ફરિયાદ નથી. નાના મોટા પ્રશ્નો હશે તેની ચર્ચા કરી છે, જે ઉકેલાશે. પાર્ટી અમારા બંને માટે પ્રાયોરિટી છે.

મનસુખ વસાવાએ રાજીનામાને લઈને જણાવ્યું હતું કે, પાર્ટી કહેશે તો પણ રાજીનામું પરત નહીં ખેંચું. નાદુરસ્ત તબિયતકના કારણે રાજીનામું આપ્યું છે. ઘણા સમયથી મારી તબિયત સારી રહેતી નથી. કમરમાં દુઃખાવાને કારણે નાના મગજ પર અસર થઈ છે. પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી. જ્યારે મેં મારા મતવિસ્તારના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી છે, ત્યારે તેનો સરકાર ઉકેલ લાવી છે. અગાઉ પણ પાર્ટીમાં તેમણે રાજીનામું આપવા મુદ્દે વાત કરી હોવાનો દાવો કર્યો હતો.

મનસુખ વસાવાના રાજીનામા પછી વનમંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને અરજન્ટ મીટિંગ મળી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. સૂત્રોના મતે ઈકો સેન્સેટીવ ઝોન અંગે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. વસાવાને મનાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મનસુખભાઇ વસાવા અમારા સિનિયર સાંસદ છે. એમને રાજીનામુ નથી આપ્યું, એમને રાજીનામુ આપીશ એવું જણાવ્યું છે. એમની સાથે મુખ્યમંત્રી સાથે બેસીને ચર્ચા કરી છે. એમના મુદ્દાનું નિરાકરણ આવી જશે. એમના વિસ્તારની જમીન છે, જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે, એમનો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમની ફરજ છે લોકો માટે લડવાની એ લડી રહ્યા છે. પાર્ટી એમની સાથે છે.