સુરત: સુરત આગ દુર્ઘટના મામલામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ તક્ષશિલા આર્કેડ પાસે પહોંચ્યો હતો. હાર્દિક પટેલે સવારે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જો કડક કાર્યવાહી નહીં થાય તો હું ઉપવાસ કરીશ. જ્યારે હાર્દિક ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

જોકે બીજી તરફ પાટીદારો તેનો વિરોધ પણ કર્યો હતો. ઘટનાસ્થળ પર એકઠી થયેલી ભીડમાંથી કોઈએક વ્યક્તિએ હાર્દિકને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે આખી ઘટનાને સંભાળતા હાર્દિકને ત્યાંથી લઈ જવાયો હતો.

હાર્દિકે અગ્નિકાંડ મામલે કહ્યું હતું કે, આ દુર્ઘટના પ્રશાસનની બેદરકારીને કારણે ઘટી છે. જેથી 12 કલાકમાં મેયર અને ફાયર સેફ્ટી સામે કડક કાર્યવાહી નહીં થાય તો હું ઉપવાસ પર બેસીસ. જો ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય તો સ્માર્ટ સિટી સુરતમાં ફાયર વિભાગ પાસે ચાર માળ પહોંચે તેવી સીડી કેમ નથી.

ગેરકાયદેસર બિલ્ડીંગને કાયદેસર બનાવવામાં જે અધિકારીઓનો સમાવેશ થાય છે તેઓ બધાં આ અંગે જવાબ આપે તેવી મારી નમ્ર અપીલ છે. આ મામલો દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમાં સરકારની સાંઠ-ગાંઠને કારણે લોકોને પકડવામાં નહીં આવે.

હાર્દિક પટેલે તો એવું પણ કહ્યું કે, 'હું અહીં કોઇ રાજનીતિ કરવા નથી આવ્યો. હું માનવતાને કારણે અહીં આવ્યો છું. આ મામલામાં મેયરે રાજીનામું આપવું જોઈએ. આ તંત્રની જ બેદરકારીને કારણે જ થયું છે. ફાયરફાઈટર 45 મીનિટે આવે અને તો પણ તેમાં પાણી પણ ન હોય તે તો શરમની વાત છે.