સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના 176 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ ગઈ કાલે 3 લોકોના કોરોનાથી મોત થયા હતા. 176 કેસોની સામે ગઈ કાલે સુરતમાં 131 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી હતી.


એટલું જ નહીં, 20મી જૂને સુરતમાં 103 કેસ નોંધાયા હતા. તેમજ 52 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, સુરત જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 789 એક્ટિવ કેસો નોંધાયા છે. જ્યારે 2321 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 123 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.



રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 655 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 27 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27317 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1664 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 19357 દર્દી સાજા થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગર 15, ભરૂચ 10, અરવલ્લી 9, ભાવનગર 8, જામનગર 8, વલસાડ 5, રાજકોટ 4, આણંદ 4, પંચમહાલ 4, પાટણ 4, અમરેલી 4, બનાસકાંઠા 3, સાબરકાંઠા 3, મહેસાણા 2, જૂનાગઢ 2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દ્વારકા એક -એક કેસ નોંધાયા છે.