સુરતઃ ગુજરાતમાં મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જ્યારે મગફળીના પાકને પણ ભારે નુકસાન થયું છે. માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળી પલળી ગઈ હતી.


ગઈ કાલથી સુરત જિલ્લામાં પડી રહેલા વરસાદી ઝાપટાને પગલે ડાંગરના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. પવન સાથે પડેલા ભારે વરસાદથી સરસ ગામ, ઓલપાડ-કિમ, કોસંબા સહિતના વિસ્તારમાં ખેતરોમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. હવે આ ખેતરોમાથી પાણી નીકળે તો પણ ડાંગર બચાવવાના કોઈ સંકેત નથી. વરસાદના કારણે 30 થી 40 હજાર એકરમાં ડાંગરના પાકને નુકસાનની આશંકા છે. સરકાર તરફથી ગ્રામસેવકો મારફતે સર્વેની કામગીરી શરૂ કરવામાં આી છે.



સૌરાષ્ટ્રની વાત કરીએ તો વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ગીર સોમનાથમાં રાતે પડેલા વરસાદથી મગફળીને નુકસાન થયું છે. મોડી રાત્રે કોડીનારમાં પડેલા વરસાદના કારણે માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો. કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં 5-7 હજાર મગફળીની બોરીની આવક થઈ છે. રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વરસાદ પડે તો યાર્ડમાં ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ શકે છે. મોટા ભાગના યાર્ડમાં ખુલ્લામાં મગફળી પડી છે.