સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. 69 વર્ષીય વૃદ્ધ  ડાઈંગ મિલમાં કામ કરતી વખતે મશીનમાં આવી જતા તેમનું મોત નિપજ્યું છે. મૃતકનું નામ રામ તહલ યાદવ છે જેઓ મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલ મિલ્કીપૂર વિધાનસભામાં આવેલ ડબલપૂર ગામના રહેવાસી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહીને પરિવારને આર્થિક મદદરૂપ થતા હતા. આ ઘટના થતા જ પરિવાર શોકમાં ગરકાર થઈ ગયો છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદમાં હિટ એન્ડ રનનો ભોગ બનેલ દંપત્તિ પહેલીવાર મીડિયા સામે કર્યો મોટો ખુલાસો


અમદાવાદના એસજી હાઇવે પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ પતિ પત્ની પ્રથમ વાર મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી છે. abp asmita સાથે ખાસ વાત કરતા ઈજાગ્રસ્ત અમિતભાઈ અને તેમના પત્ની મેઘા બેને પોતાની નજર સમક્ષ બનેલ ઘટના વર્ણવી અને અકસ્માત બાદ તેઓ કઈ રીતે પરેશાન થઈ રહ્યા તે પણ કહ્યું. 


ઈજાગ્રસ્ત દંપતીનું કહેવું છે કે આ કિસ્સામાં ખવડાવી પીવડાવીને મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમને આશા નથી કે તમને ન્યાય મળશે પરંતુ તેમની માંગ છે કે આ મામલે ઉદાહરણ સાબિત થાય તે મુજબની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને લોકો ડ્રીંક એન્ડ ડ્રાઇવ ન કરે. ઇજાગ્રસ્ત મેઘાબેનનું કહેવું છે કે ડાબા પગની ઘૂંટણનો નીચેનો બોલ ખસી જવાના કારણે તેમને ખાટલો ભોગવાનો વારો આવ્યો છે એટલે કે ત્રણ મહિના સુધી તેમને બેડરેસ્ટ કરવો પડશે. તેઓ જ્યારે દીકરા માટે પિચકારી લેવા નીકળ્યા તે સમયે એક કાર ડિવાઈડર તોડી અને તેમની પાસે ઘસી આવી જેના કારણે તેઓ છ ફૂટ સુધી ફેકાઈ ગયા, જ્યારે તેમના પતિને જમણા પગે એંકલમાં ફ્રેક્ચર આવવાથી આરામ કરવાની ફરજ પડી રહી છે. 


બાળકો નાના છે, તેમને સંભાળવાની ઉપરાંત ઘર કામ કેવી રીતે કરશે તે મોટો સવાલ ઉભો થયો છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના પતિ પણ ઈજાગ્રસ્ત થયા છે જેના કારણે ધંધા વેપાર કેવી રીતે થશે એ મોટો સવાલ ઉભો થયો છે. ઇજાગ્રસ્ત મેઘાબેનનો દાવો છે કે ગાડી ફૂલ સ્પીડમાં આવી રહી હતી, એક યુવાન ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો લોકો તેને પકડવા પણ દોડ્યા પણ પકડાયો નહીં.